સૂત્ર સિક્રેટ Sutra Secret
નમસ્કાર મહામંત્ર
વ્હાલા બાળકો!
તમને નવકાર મહામંત્ર તો આવડતો જ હશે. કદાચ તમે દરરોજ 7-8 વાર જાપ પણ કરતાં હશો, પરંતુ… નવકાર મંત્રનો
અર્થ આવડે છે?
પ્રભાવ ચમત્કાર ખબર છે?
ઇતિહાસ સાંભળ્યો છે?
તો, આ સૂત્ર સિક્રેટ તમારા માટે જ છે. થઈ જાવ તૈયાર…
નવકાર પ્રભાવ :
નવકારના 1-1 અક્ષર પર 1008 વિદ્યાદેવીઓનો વાસ છે.
નવકારનો 1-1 અક્ષરના જાપથી નરકના 7 સાગરોપમના દુ:ખો નાશ પામે છે. સંપૂર્ણ 1 નવકારના જાપથી 500 સાગરોપમના નરકના દુ:ખ દૂર થાય છે.
સૂત્ર પરિચય
મૂળ નામ : શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ
પ્રસિદ્ધ નામ : શ્રી નમસ્કાર મહામંત્ર
અક્ષર : 68
ગુરુ અક્ષર : લઘુ અક્ષર :
સંપદા : 8
રચયિતા : – (નવકાર મંત્ર શાશ્ર્વત છે. અનાદિ-અનંત છે. માટે તેના કોઈ રચયિતા નથી.)
નમો અરિહંતાણં
નમો = હું નમસ્કાર કરું છું
અરિહંતાણં = અરિહંત પરમાત્માને
અરિહંત પરમાત્માને હું વંદન કરું છું.
‘અરિહંત’ એટલે કોણ?
અરિ = શત્રુ
હંત = હણનાર.
જે શત્રુઓનો નાશ કરે તે અરિહંત.
તો બાળકો! આપણને પ્રશ્ર્ન ન થાય કે,
ચક્રવર્તીને અરિહંત ના કહેવાય?
કારણ કે તેણે છ ખંડના બધા જ શત્રુઓને હરાવી દીધા છે.
વિશ્ર્વ વિજેતા નેપોલિયન અને સિકંદરને અરિહંત ના કહેવાય?
કારણ કે તેઓએ આખી દુનિયાના શત્રુઓને જીત્યા હતા.
બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરને અરિહંત ના કહેવાય?
કારણ કે તેઓ એક સમયે અમેરિકા ને ભારત જેવા દેશોના સમ્રાટ હતા. ……….. દેશો તેમના ગુલામ હતા.
વર્લ્ડકપની વિજેતા ટીમને અરિહંત ના કહેવાય?
કારણ કે તેમણે પણ પોતાની બધી જ હરીફ ટીમને હરાવી દીધી છે.
ના કહેવાય.
કારણ કે એક વાર જીત્યા પછી ફરી પણ ક્યારેક હાર થવાની હોય તો તે સાચી જીત નથી.
નેપોલિયન પણ છેવટે ફ્રાંસ સામે હારી ગયો.
બ્રિટનના ગુલામ દેશો આજે આઝાદ થઈ ગયા ને બ્રિટનથી યે વધુ સમૃદ્ધ બની ગયા છે.
એક વખતની વર્લ્ડકપ વિજેતા ટીમ શું હંમેશા વર્લ્ડકપ જીતે જ છે? ના, હારી જાય છે.
અને, ચક્રવર્તી જેવો ચક્રવર્તી પણ છેવટે મોત સામે તો હારી જ જાય છે અને મરવાની ઇચ્છા ન હોવા છતાં ય તેને મરવું જ પડે છે.
તો આપણો સાચો શત્રુ કયો?
આપણી સાચી જીત કઈ? જે જીતી લીધા પછી ક્યારેય હારવું જ ન પડે.
પરમાત્મા મહાવીર સ્વામીએ એવા તે કયા શત્રુ પર વિજય મેળવ્યો કે જેથી તેઓ ‘અરિહંત = શત્રુ વિજેતા’ કહેવાય?
જાણો આવતા અંકે…
Leave a reply