Home > Know Jainism > 12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Jainonline.org
• 21-May-2025
12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ
81

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
કૃષ્ણ વર્ણના આ કામણગારા પ્રતિમાજી એટલે અનંત માહાત્મ્યનું ધામ જોઈ લ્યો! ૮ ઈંચ ઊંચા નાનકડા આ પ્રભુજી એટલે સૌમ્ય રસનો ઘુઘવાટ કરતો મહાસાગર જોઈ લ્યો! પાંચફર્ણાથી પરિવરેલા આ પરમદેવ એટલે પ્રશમરસ અને પ્રસન્ન રસની પરિમલ પ્રસરાવતાં પુષ્પોનો મઘમઘતો બગીચો જોઈ લ્યો! પદ્માસને પ્રતિષ્ઠિત આ અરિહંત એટલે અખંડ સૃષ્ટિનું મહામૂલું આભૂષણ જોઈ લ્યો! ૬ ઈંચ પહોળા આ સોહામણા અને શિવંકર સ્વામી એટલે વિષાદ ઘેરી વ્યકિતઓને માટે વિશ્રાન્તિ સ્થાન જોઈ લ્યો! સપ્તફણા પરિકરનો પમરાટ એટલે ભકતના સાતેય પ્રકારના ભયોનો ભાંગનારો તરવરાટ જ માની લ્યો ને!
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
શ્રી સ્તંભન પાર્શ્વનાથનો જેવો પ્રબળ પ્રભાવ છે, તેવો જ તેનો ઉજજવલ ઈતિહાસ છે. ગત ચોવીસીના શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં અષાઢી નામના પ્રભુભક્ત શ્રાવકે ભકિતની અનહદ ઉર્મિઓ ઠાલવીને અનાગત ચોવીસીના ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ સ્વામીની નીલમરત્નની એક મનોહર મૂર્તિ ભરાવી. અષાઢીના અદ્ભુત ભકિતના ભાવોથી મઢેલી આ પ્રતિમા પ્રતાપી બની. વર્ષો સુધી અષાઢી શ્રાવકે આ પ્રતિમાને ભકિત સભર હૈયે પૂજી.
પરમ પ્રભાવને પામેલી આ મૂર્તિ સૌધર્મપતિના આકર્ષણનું કેન્દ્ર બની. આ પ્રતિમાને પોતાના આવાસમાં પધરાવીને સૌધર્મેન્દ્ર હજારો વર્ષો સુધી તેની પૂજા કરી. ત્યાર પછી વરૂણદેવે આ પ્રતિમાને ચિરકાળ પર્યંત પૂજી. કાળાન્તરે આ પ્રતિમાજી નાગરાજના હાથમાં આવી. સમુદ્રકિનારે એક દેવવિમાન સદેશ મનોહર જિનાલયમાં આ પ્રતિમાજીને પધરાવીને નાગકુમારેન્દ્ર પાતાલવાસી દેવોની સાથે આ પરમાત્માની નિત્ય અર્ચના કરવા લાગ્યો.
કાળપુરુષની ગતિ અવિરત પણે ચાલુ રહી. વર્તમાન ચોવીસીના વાશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં વનવાસસ્થિત રામચંદ્રજી સીતાનું હરણ થતાં ચિંતિત બન્યા. રાવણ પાસેથી સીતાને પાછી મેળવવા રામ-લક્ષ્મણ વિશાળ સેના સહિત સમુદ્રકિનારે છાવણી નાંખીને રહ્યા હતા. વિરાટ સમુદ્રને ઓળંગવાની મૂંઝવણથી વ્યથિત એવા આ બંધુયુગલે અકસ્માત નિકટના નિર્જન પ્રદેશમાં એક ભવ્ય જિનપ્રાસાદ નિરખ્યો, જિનપ્રાસાદમાં પ્રવેશ કરતાં અનુપમ રૂપને ધારણ કરનારા શ્રી પાર્શ્વનાથજીના અદભુત બિંબને નિહાળી આ
બંધુબેલડી હર્ષાન્વિત બની. દેવાર્ચિત આ જિનબિંબના પ્રબળ પ્રભાવને પામવા આ બન્ને બંધુના ભકત હ્રદય ઉલ્લસિત બન્યાં. તેમણે એકાગ્રચિત્તે પરમાત્માનું ધ્યાન ધર્યું. પોતાના સ્વામી પ્રત્યે ભકિતઘેલા બનેલા આ બે બંધુને નિહાળી પ્રસન્ન ચિત્ત બનેલો નાગરાજ પ્રત્યક્ષ થયો. તેણે આ પ્રભાવકારી પ્રતિમાનો ઉજજવલ ઈતિહાસ આ બધુંબેલડીને કહી સંભળાવ્યો.
ભાવ વિભોર બનીને પરમાત્માને પૂજ્યા બાદ આ બન્ને બંધુ જિનાલયની બહાર નીકળ્યા. સમુદ્ર જલ સ્તંભિત થયાની તેમને વધામણી મળી. પરમાત્માના આ પ્રત્યક્ષ પ્રભાવથી ઓવારી ગયેલા રામચંદ્રજીએ "શ્રી સ્તંભન પાર્શ્વનાથ"નામથી પરમાત્માને બિરદાવ્યા. હર્ષાન્વિત બનીને સહુએ ત્યાં ભવ્ય જિનેન્દ્ર ભકિત મહોત્સવ ઊજવ્યો.
કાળની કિતાબનાં પાનાં ફરતા ગયા. નવમા વાસુદેવ શ્રી-કૃષ્ણમહારાજા સમુદ્રકિનારે છાવણી નાખીને રહયા હતા. તેમણે ત્યાં એક મનોહર જિનમંદિરમાં નીલમરત્નના આ અલૌકિક જિનબિંબને નિહાળ્યું. આ પ્રતિમાજી સમક્ષ ભકિત ઘેલા બનીને નૃત્ય કરતા નાગકુમાર દેવોને કૃષ્ણ મહારાજાએ નિહાળ્યા. પાતાલપતિ નાગરાજથી પૂજાતી આ અલૌકિક પ્રતિમાનો સમગ્ર વૃત્તાંત દેવોએ તેમને કહી સંભળાવ્યો.
આ અદ્ભુત પ્રભાવશાળી બિંબને પોતાના પાટનગર દ્વારિકામાં લઈ જવાના શ્રી કૃષ્ણવાસુદેવને મનોરથ થયા. તેની વિનંતીને માન્ય કરી નાગરાજે આ પ્રતિમાજી દ્વારિકા લઈ જવા અનુજ્ઞા આપી. દ્વારિકામાં લઈ જઈને કૃષ્ણ વાસુદેવે આ પ્રભાવક પ્રતિમાને માણેક અને સુવર્ણ જડિત જિનપ્રાસાદમાં બિરાજમાન કર્યા
કાળક્રમે દ્વારિકાનગરી દૈવી પ્રકોપનો ભોગ બની. પણ અધિષ્ઠાયક દેવની પૂર્વ સૂચનાથી એક ભકત શ્રાવકે આ પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવ્યાં. દ્વારીકા નગરી ભયાનક દાહમાં નાશ પામી. અને પ્રતિમાજી સમુદ્રમાં સુરક્ષિત રહયાં. સમુદ્રમાં તક્ષક નામના નાગેન્દ્રે આ પ્રતિમાજીની ૮૦,૦૦૦ વર્ષ સુધી પૂજા કરી, ત્યારબાદ વરૂણદેવ આ પ્રતિમાને પૂજવા લાગ્યો.
૪૦૦૦ વર્ષ સુધી આ રીતે વરૂણદેવ દ્વારા આ પ્રતિમા પૂજાયા બાદ અજબ ઘટના બની, કાંતિપુરના ધન સાર્થવાહનાં વહાણો સમુદ્રના ઊંડા નીરમાં સ્તંભિત થયા. આવી પડેલી આપત્તિમાંથી બચવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ જતાં અત્યંત હતાશ બનેલો સાર્થવાહ સમુદ્રમાં પડીને આત્મહત્યા કરવા તત્પર
થયો. ત્યારે એક દિવ્ય વાણીએ આ સાર્થવાહને આત્મહત્યા કરતો રોકથો અને સમુદ્રના પેટાળમાં રહેલાં શ્રી પાર્શ્વપ્રભુના બિંબના પ્રભાવથી આપત્તિનું નિવારણ થશે તેમ સૂચવ્યું. દેવતાએ નીલમરત્નના આ પ્રભાવક બિંબનો પ્રતાપી ઈતિહાસ આ સાર્થવાહને કહી સંભળાવ્યો.
દૈવી સહાયથી સાર્થવાહે આ પ્રતિમાજીને સમુદ્રમાંથી બહાર આણ્યાં. કાંતિપુરીમાં આ પ્રતિમાનો ભવ્ય ઠાઠથી પ્રવેશ કરાવીને સાર્થવાહે તેને એક મનોહર જિનપ્રાસાદમાં બિરાજમાન કર્યા. આ પ્રતિમાની સાથે જ સમુદ્રમાંથી બીજા બે પ્રતિમાજી પ્રાપ્ત થયાં હતાં. તેમાંના એક શ્રી પાર્શ્વ પ્રભુનાં પ્રતિમાજી ચારૂપ ગામમાં અને શ્રી નેમિનાથના પ્રતિમાજી શ્રીપત્તનમાં આજે બિરાજમાન છે.
કાંતિપુરીનાં શ્રદ્ધાવંત શ્રાવકો આ પ્રભાવક પ્રતિમાજીને ભકિતપૂર્વક નિત્ય પૂજતા. આ રીતે ૨૦૦૦ વર્ષ પસાર થતાં વિક્રમના પહેલા સૈકામાં વિદ્યાસાધના માટે નાગાર્જુન નામના યોગીએ કપટ પૂર્વક આ પ્રતિમાનું હરણ કર્યું શ્રી પાદલિપ્ત સૂરિના શિષ્ય બનેલા આ નાગાર્જુને આ પ્રતિમાના પ્રભાવથી કોટીવેઘ રસની સિદ્ધિ કરી. વિદ્યાસિદ્ધિનું કાર્ય પૂર્ણ થતાં આ બિંબને તેણે સેઢી નદીના કિનારે ખાખરના વૃક્ષતળે જમીનમાં ભંડારી દીધી. ત્યાં પણ આ પ્રતિમાજી દેવોથી પૂજાતી હતી.
શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય શ્રી અભયદેવ મુનિ ૧૬ વર્ષની કુમારવયે સૂરિપદે પ્રતિષ્ઠિત થયા કર્મસંયોગે આ સૂરિદેવ કુષ્ટરોગના ભોગ બન્યા. આ રોગ ધર્મનિંદાનું કારણ બનતા વ્યથિત બનેલા સૂરિદેવને શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સાંત્વન આપ્યું. સેઢી નદીના તટે ખાખરના વૃક્ષ તળે ગુપ્ત શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતિમાજીનો પ્રભાવ પૂર્ણ ઈતિહાસ જણાવીને દેવીએ તે પ્રતિમાજી પ્રગટ કરવા પૂ સૂરિદેવને સૂચન કર્યુ અને નવ અંગોની ટીકા રચવા પૂ. સૂરિદેવને દેવીએ વિનંતી કરી.
દેવીસૂચિતસ્થાને સંઘ સહિત જઈને પૂ અભયદેવસૂરિ મહારાજે ૩૨ શ્લોક પ્રમાણ જયતિહુઅણ સ્તોત્રની રચના કરીને શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતાપી બિંબને પ્રગટ કર્યું. આ પ્રતિમાજીના સ્નાત્ર જાળથી પૂ. સૂરિદેવનો કુષ્ટ રોગ ક્ષણમાં નષ્ટ થયો. ધરણેન્દ્રના સૂચનથી પૂ. સૂરિદેવે સ્તોત્રની છેલ્લી બે ગાથા ગોપવી દીધી. શ્રી સંઘે સેઢી નદીના તટે સ્તંભનપુરમાં નૂતન જિનાલય બંધાવીને પૂ. સૂરિદેવના પુનિત હસ્તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી, શ્રી અભયદેવસૂરિ દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના પ્રગટીકરણની ઘટના ૧૧મા સૈકામાં બની, પ્રતિમાના પ્રભાવથી પૂ. સૂરિદેવે નવ અંગોની વૃત્તિઓ રચી.
વિ. સં. ૧૩૬૮ માં પ્રભાવ પૂર્ણ પરમાત્મ બિંબને ત્યાંથી શ્રી સ્તંભન તીર્થમાં લાવવામાં આવ્યું. ખંભાતનો સંઘ આ પ્રતિમાની ભકિતપૂર્વક અર્ચના કરવા લાગ્યો. આ રીતે સૈકાઓથી સ્તંભતીર્થમાં પૂજાતા નીલમરત્નના આ બિંબને સં. ૧૯૫૨માં તારાપુરના સોનીએ ચોર્યુ. સંઘના પ્રયત્નોથી સોની પકડાયો અને પ્રતિમાજી શ્રી સંઘને પુન: પ્રાપ્ત થયા. પૂ શાસન સમ્રાટ શ્રી
વિજયનેમિસૂરિશ્વરજીના પુનિત હસ્તે આ પ્રતિમાજીને સં ૧૯૫૫માં પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં આ પૂ. સુરિદેવના ઉપદેશથી આ મંદિરનો જીર્ણોદ્વાર થયો અને વિ સં. ૧૯૮૪માં ફાગણ સુદ ૩ના શુભદિને પૂજયશ્રીના વરદ હસ્તે જીર્ણોધ્ઘૃત જિનપ્રાસાદની ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ.
આજે પણ ખંભાતના ખારવાડામાં આ ભવ્ય તારકતીર્થ વિદ્યમાન છે. ત્રણ શિખરથી યુકત આ ભવ્ય જિનપ્રાસાદ દેવવિમાન સદેશ શોભી રહયો છે.
ભવ્યાત્માઓ સવારે રાત્રિપ્રતિકમણ કરતા તીર્થ વંદના સૂત્રમાં નિત્ય શ્રી સ્તંભન પાર્શ્વનાથને નમસ્કાર કરે છે.
શ્રી જિનપ્રભ સૂરિએ આ પાર્શ્વપ્રભુને ‘ભવભયહર પાર્શ્વનાથના નામથી ઓળખાવ્યા છે.
પ્રાચીનતાના પુરાવા –
અનેક પ્રાચીન ગ્રન્થો આ તીર્થના ઉદ્ભવ અને ઈતિહાસને વર્ણવે છે. સં. ૧૩૨૧માં રચાયેલા શ્રી ભાવદેવસૂરિ કૃત ‘મો પાર્શ્વનાથ ચરિત્ર"ની પ્રશસ્તિમાં આ પાર્શ્વનાથનો નામનિર્દેશ મળે છે.
સં. ૧૩૪૪માં રચાયેલા મી પ્રભાચંદ્ર સૂરિફત 'પ્રભાવક ચરિત્ર'ના 'મી અભયદેવ સુરિ પ્રબન્ધ'માં આ તીર્થના ઉજજવળ ઈતિહાસને આલેખવામાં આવ્યો છે.
સં. ૧૩૬૧માં રચાયેલા શ્રી મેરૂતુંગાચાર્ય કૃત “પ્રબન્ધ ચિંતામણિ'ના નાગાર્જુન પ્રબન્ધ" માંથી આ તીર્થનો વિસ્તૃત ઈતિહાસ પ્રાપ્ત થાય છે.
શ્રી સિદ્ધસેનસૂરિ રચિત "તીર્થવન્દના” સૂત્રમાં આ પાર્શ્વપ્રભુને પ્રણામ કરવામાં આવ્યા છે.
સં. ૧૩૮૯માં શ્રી જિનપ્રભ સૂરિએ રચેલા "વિવિધ તીર્થકલ્પ' અન્તર્ગત 'શ્રી પાર્શ્વનાથ કલ્પ” અને “શ્રી સ્તમ્ભનક કલ્પ શિલોંચ્છ'માં આ તીર્થના માહાત્મ્યનું રોચક અને રોમાંચક વર્ણન જોવા મળે છે.
સં.૧૪૦૫માં રચાયેલા શ્રી રાજરોખર સૂરિકૃત 'ચતુર્વિજ્ઞાતિ પ્રબન્ધ' અન્તર્ગત 'નાગાર્જુન પ્રબન્ધ'માં પણ આ તીર્થનો ઈતિહાસ ગૂંથાએલો છે.
પંદરમાં સૈકામાં રચાયેલ શ્રી જિનતિલકસૂરિકૃત “ખંભાત ચૈત્ય પરિપાટી,”શ્રી કીર્તિમેરૂકૃત ‘શાશ્વત તીર્થમાલા; અને મેઘ કવિકૃત 'તીર્થમાલા'માં આ તીર્થનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૫૦૩માં રચાયેલા શ્રી સોમધર્મગણિકૃત ‘ઉપદેશસપ્તતિકા' ગ્રન્થમાં આ તીર્થની ઉત્પત્તિનો અધિકાર આલેખવામાં આવ્યો છે.
સં. ૧૫૨૧માં રચાયેલા શ્રી શુભશીલગણિકૃત ‘પ્રબન્ધ
પંચશતિ' ગ્રંથાન્તર્ગત ૨પમા ‘નાગાર્જુન પ્રબન્ધ' અને ૫૫૪મા 'અભયદેવ સૂરિકૃત નવાંગવૃત્તિ પ્રબન્ધથી આ તીર્થના ઈતિહાસ પર સારો પ્રકાશ પડે છે.
શ્રી રત્નમંદિર ગણિકૃત ‘ઉપદેશ તરંગિણિી’માં આ તીર્થનો નામનિર્દેશ થયેલો છે.
અનેક પટ્ટાવલી ગ્રન્થોમાં શ્રી અભયદેવસૂરિના ચરિત્રમાં આ તીર્થના ઈતિહાસને પણ ગૂંથવામાં આવ્યો છે.
સોળમાં સૈકામાં કવિ શ્રી ડુંગર શ્રાવકે રચેલી ‘ખંભાયત ચૈત્યપરિપાટી'માં પ્રારંભમાં જ આ પ્રભુજીને જુહારવામાં આવ્યા છે.
સં. ૧૫૮૨માં સહજ સુંદરે રચેલ 'રત્નસાર કુમાર ચોપાઈ'માં શ્રી સ્તંભન પાર્શ્વનાથજીને પ્રણામ કર્યા છે.
સત્તરમાં સૈકામાં શ્રી નયસુંદર મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજ્ય ગણિવરના શિષ્ય, શ્રી ગુણ વિજયજીના શિષ્ય,શ્રી રત્ન કુશલ શ્રી ઋષભદાસ કવિ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાય શ્રી કમલશેખર આદિ અનેક મહાપુરુષોએ પોતાની રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ કરેલો છે.
'હીર સૌભાગ્ય' માહાકાવ્યમાં પણ આ તીર્થના માહાત્મ્યનું કવિએ અદ્ભુત વર્ણન કર્યુ છે.
સં. ૧૬૫૧માં વાચક કુશલ લાભે ‘સ્તંભનક પાર્શ્વનાથ સ્તવન'માં આ તીર્થના વિસ્તૃત ઈતિહાસનું મનોહર આલેખન કર્યુ છે.
શ્રી દેવસૂરિ, શ્રી સોમસુન્દર સૂરિ, શ્રી મુનિચન્દ્ર સૂરિ આદિ અનેક મહાન આચાર્ય ભગવંતોએ પ્રભાવક સ્તોત્રો દ્વારા આ તીર્થની સ્તુતિ કરેલી છે.
અઢારમાં સૈકામાં થયેલા શ્રી મેઘવિજય ઉપાધ્યાય, શ્રી શીલવિજય, શ્રી સૌભાગ્ય વિજય, શ્રી જ્ઞાનવિમલ આદિની રચનાઓમાં પણ આ તીર્થના ઉલ્લેખ મળે છે.
સં. ૧૮૧૧માં નેમવિજયે ‘થંભણા પારસનાથ, શેરીષા પારસનાથ તથા શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન' રચ્યું છે.
સં. ૧૮૪૩માં શ્રી વિજય લક્ષ્મી સૂરિએ ‘ઉપદેશ પ્રાસાદ’ ગ્રન્થમાં આ તીર્થના ઈતિહાસને આલેખ્યો છે.
સં. ૧૮૮૧માં શ્રી ઉત્તમ વિજયે ‘શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદ'માં આ તીર્થનો પણ નામ નિર્દેશ કરેલો છે.
તદુપરાંત શ્રી સ્તંભન પાર્શ્વનાથનાં અનેક સ્તવનો ઉપલબ્ધ થાય છે.
પ્રભુનાં ધામ અનેક
શ્રી સ્તંભન પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ખંભાત ખારવાડામાં છે. પાટણમાં કોટાવાળાની ધર્મશાળાના પટાંગણમાં પણ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું જિનાલય છે. મુંબઈ ચંદનબાળા એપાર્ટમેન્ટસ તથા વાલકેશ્વર શ્રી આદિનાથ જિનાલય, તથા શાંન્તાક્રુઝ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતિમાજી બિરાજમાન છે. નડિયાદ શ્રી શાંતિનાથ જિનાલયમાં પણ આ નામના એક પાર્શ્વનાથજી બિરાજમાન છે.
પ્રભુનાં ઘામની પિછાણ
ભવ્ય અને તારક અનેક જિનપ્રાસાદોથી ખંભાત સુશોભિત છે. ગૌરવવંતી જૈન પરંપરા અને પ્રણાલિકાનો પરિચય કરાવતાં અનેક જૈન સંસ્થાનો આજે પણ ખંભાતમાં વિદ્યમાન છે. અનેક મહાન સૂરિપુંગવોનાં પાવન પગલાંથી ખંભાત પુનિત બનેલું છે. અનેક મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનું ખંભાત સાક્ષી છે. જૈન સંસ્કૃતિના અપૂર્વ વૈભવને ખંભાતે પેખ્યો છે. ખંભાત અનેક મહાનગ્રન્થોની સર્જનભૂમિ છે. અનેક ઉદાર શ્રેષ્ઠીઓએ આ નગરનું ગૌરવ વધાર્યુ છે. આજે પણ ખંભાત જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર છે. ખંભાત રેલવે સ્ટેશનથી આ તીર્થ ૧૫ કી.મી દૂર છે વડોદરાથી ૮૦ કી.મી. દૂર છે.ભોજનશાળા,આયંબિલશાળા ધર્મશાળા આદિની અહીં સુંદર સગવડ છે.