Home > Know Jainism > 13. શ્રી કંસારી પાર્શ્વનાથ
Jainonline.org
• 23-May-2025
13. શ્રી કંસારી પાર્શ્વનાથ
72

પ્રથમ નજરે પ્રતિમા દર્શન-
પાપોના પડછાયાથી ઘેરાયેલા સંસારીને શરણરૂપ શ્રી કંસારી પાર્શ્વનાથજી શ્વેત છે. ત્રણલોકના ભૂપનું અનુપમ રૂપ ફર્ણાના અભાવમાં પણ જરાય ઊતરતું નથી. ૧૩ ઈંચ ઊંચા વિશ્વવત્સલ પરમાત્માની મુખમુદ્દા અતિપ્રસન્ન છે. આ ત્રિભુવનભાણ પમાસને બિરાજમાન છે. ૧૨ ઈંચની પહોળાઈથી યુક્ત આ પ્રભુજી સૌમ્ય શોભાથી સંયુત છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
સૈકાઓથી જૈન ધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા ખંભાતથી ઈશાન ખૂણામાં દોઢ કી.મી.ને જ અંતરે આવેલું કંસારી ગામ પણ જૈનોનું મહત્ત્વનું ધર્મ કેન્દ્ર હતું. અહીં જૈનોની પુષ્કળ વસ્તી હતી અને જિનાલયો પણ હતાં.
આ કંસારીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું દેવવિમાન સદેશ મનોહર જિનાલય તીર્થયાત્રાના ધામ સમું હતું. આ પરમાત્માનો પ્રભાવ ચોમેર ફેલાયેલો હતો. અનુપમ મુખમુદ્રા અને પ્રબલ પ્રભાવને કારણે આ જિનમૂર્તિ અત્યંત પ્રસિદ્ધિ પામી હતી. ભકતજનોની ભીડને ભાંગતા આ પરમાત્મા ઘણા પ્રભાવ સંપન્ન છે.પહેલા આ પરમાત્મા કંસારીમાં જ બિરાજમાન હતાં.
કાળક્રમે આ ગામમાંથી જૈનોની વસ્તી નામ શેષ થઈ. તેથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથને કંસારીથી ખંભાત લાવવામાં આવ્યા અને ખારવાડામાં એક નવનિર્મિત જિનપ્રાસાદમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા.
આ તીર્થની પ્રસિદ્ધિ સૈકાઓથી ખૂબ વ્યાપક બનેલી છે. આ પ્રભુની પ્રભાવકતાના ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. કંસારીથી ખંભાત લાવવામાં આવેલાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પછી સૌ “શ્રી કંસારી પાર્શ્વનાથ” તરીકે ઓળખવા લાગ્યા. ભકતજનોના પાપરૂપી કંસને હણનાર અરિ સમા પરમાત્માનું કંસારી નામ સાર્થક છે.
પ્રાચીનતાના પુરાવા
સં. ૧૬૩૯માં સુધર્મગચ્છના શ્રી વિજયદેવસૂરિએ કંસારીના શ્રી ભીડભંજન પાર્શ્વનાથને ભકિતપૂર્વક જુહાર્યા હતાં.
સં ૧૬૪૬માં શ્રી મનજીઋષિએ રચેલા “શ્રી વિજયદેવસૂરિ રાસ’”માં શ્રી વિજયદેવસૂરિએ આ પ્રભુને જુહાર્યાનું નોંધ્યું છે. સં. ૧૬૫૫માં રચાયેલી કવિશ્રી પ્રેમવિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિન
નામમાલા'માં શ્રી પાર્શ્વપ્રભુનાં આ નામની પણ ગૂંથણી કરવામાં આવી છે.
સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે રચેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ'માં કંસારીના શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પણ તેમણે સ્તવ્યા છે.
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિવરના શિષ્યે રચેલા “શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં પણ આ પાર્શ્વપ્રભુની સ્તવના થયેલી છે.
સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન'માં તેમણે આ પ્રભુનું સ્મરણ કર્યુ છે.
સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા ‘૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં કંસારીના શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું પણ નામ સ્મરણ કરાયેલું છે.
સત્તરમાં સૈકામાં કવિશ્રી સમયસુંદરે શ્રી કંસારી પાર્શ્વનાથ ભાસ રચેલો છે. તથા શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયે પણ આ પ્રભુના મહિમાને એક વિસ્તૃત સ્તવનમાં વર્ણવ્યો છે.
સં. ૧૭૨૧માં શ્રી મેઘવિજ્ય ઉપાધ્યાયે રચેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં શ્રી કંસારી પાર્શ્વનાથનું નામ પણ ગૂંથાયેલું છે.
સં. ૧૭૪૬માં કવિશ્રી શીલવિજયે રચેલી સં. ૧૭૫૦માં કવિશ્રી સૌભાગ્ય વિજયે રચેલી તથા અઢારમાં સૈકામાં થયેલા શ્રી જ્ઞાનવિમલે રચેલી ‘તીર્થમાલા”માં શ્રી કંસારી પાર્શ્વનાથનો નામોલ્લેખ જોવા મળે છે. અઢારમાં સૈકામાં શ્રી કલ્યાણસાગરે રચેલી “શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી'માં શ્રી પાર્શ્વપ્રભુના આ નામનો પણ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૮૮૧માં કવિ ઉત્તમ વિજ્યે ગાયેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ”માં કવિએ શ્રી કંસારી પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે.
પ્રભુનાં ધામ અનેક
શ્રી કંસારી પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ વર્તમાનમાં ખંભાતના ખારવાડામાં આવેલું છે. તદુપરાંત (મુંબઈ) શાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી કંસારી પાર્શ્વનાથ બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ –
ધર્મનગરી ખંભાત વર્તમાનમાં પણ અનેક મનોહર જિનપ્રાસાદોથી વિભૂષિત છે. ખંભાતના ખારવાડામાં શ્રી કંસારી પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન છે. ખંભાતમાં ૬૦ ઉપરાંત જિનાલયો વિદ્યમાન છે તેમાંથી ખારવાડામાં કુલ સાત જિનાલયો છે. ખંભાતના જિનાલયો તીર્થ સદેશ છે. ખંભાતના જ્ઞાન ભંડારો
સમૃદ્ધ છે. ખંભાતનાં જિનબિંબો પ્રાચીન છે. અને ખંભાતના શ્રાવકો
ધર્મનિષ્ઠ છે.