Home > Know Jainism > 14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ
Jainonline.org
• 24-May-2025
14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ
42

પ્રથમ નજરે પ્રતિમા દર્શન –
રત્ન સમા દેદીપ્યમાન પંચધાતુમય શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ પરિકરયુકત છે. સાત મનોહર ફણા પરિકરમાં સંલગ્ન છે. પ્રભુજી નાનકડા પણ નયન રમ્ય છે. ૬ ઈંચ ઊંચા અને ૫ ઈંચ પહોળા આ પ્રભુજીની દિવ્યકાન્તિ આતમને આવર્જિત કરે છે. પદ્માસને બિરાજમાન આ પરમાત્મા અખૂટ પુણ્ય ભંડાર સમા શોભી રહયા છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
ખંભાતની ઐતિહાસિકતા પર દ્રષ્ટિપાત કરતાં અનેક યાદગાર પ્રસંગો ખંભાતની જાહોજલાલીનો પરિચય આપી જાય છે.
નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિએ સં-૧૧૧૧માં “જયતિહુઅણ સ્તોત્ર' દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથની અલૌકિક પ્રતિમા સેઢી નદીના કાંઠેથી પ્રગટ કરી હતી. ચૌદમા સૈકામાં આ પ્રતિમાની ખંભાતમાં પધરામણી થતાં તેનાં સમૃદ્ધિ અને ગૌરવમાં વૃદ્ધિ થઈ-
કુમારપાલ પ્રતિબોધક કલિકાલ સર્વજ્ઞા શ્રીમદ્ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ખંભાતની ભૂમિ પર જ સં ૧૧૫૦માં દીક્ષિત બન્યા હતા. આ પૂજ્ય આચાર્ય ભગવંતે શાસન પ્રભાવનાનાં મહાન સુકૃતો કર્યા અને 'શ્રી સિધ્ધહેમ વ્યાકરણ'' જેવા મહામૂલા ગ્રન્થોની ભેટ ધરી
ઉદયન મંત્રીએ અહીં ઉદયનવસહી નામનો જિનપ્રાસાદ બંધાવેલો. મહામાત્ય વસ્તુપાલની સં. ૧૨૭૭માં અહીંના દંડનાયક તરીકે નિમણુક થઈ હતી.
વસ્તુપાલ પુત્ર જંત્રસિંહની વિનંતીથી શ્રી જયસિંહસૂરિએ "હમીરમદ મર્દન” નામના નાટકની રચના અહીં કરી હતી.
તપાગચ્છાધિપતિ પૂ. આ શ્રી જગચંદ્રસૂરિના શિષ્યો શ્રી દેવેન્દ્રસૂરિ અને વિજય ચંદ્રસૂરિ વચ્ચે સમાચારી ભેદ પડતા વડીપોષાલ અને લઘુપોષાલના પક્ષ અહીં જ પડયા હતા.
'ઓસવાલ ભૂપાલ' ના નામથી ગૌરવ પામેલા સાજણસિંહે શ્રી સુમતિસાધુસૂરિના ઉપદેશથી જીવદયાના પ્રેમી બનેલા શંખલપુરના કોચર શ્રેષ્ઠીને શંખલપુરનો અધિકારી બનાવી બહુચરાજી માતા સમક્ષ થતા પશુવધ બંધ કરાવ્યા
જગદ્ગુરુ શ્રી હીરવિજય સૂરિ તથા વિજયસેન સૂરિના સમયમાં અહીં અનેક નૂતન અને ભવ્ય જિનપ્રાસાદોનાં નિર્માણ થયાં હતા.
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઋષભદાસ ખંભાતના વતની હતા. ગંધારવાસી શેઠ વાજિયા રાજિયાએ ખંભાતમાં આવીને વસવાટ કર્યો અને ઉદાર હસ્તે શાસન સેવા તથા જન સેવાનાં સુકૃતો કરીને સુંદર ખ્યાતિ પ્રાપ્ત કરી.
સુવિશાલ શ્રમણનેતા સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અહીં કાળધર્મ પામ્યા હતાં.
પૂર્વના ઉદાર શ્રીમંતોનાં ઔદાર્ય, ભકિત અને કલાપ્રેમનાં સાક્ષી સમા ભવ્ય જિનાલયો આજે પણ ખંભાતને શોભાવી રહયા છે.
માણેકચોકમાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથનું ગૃહમંદિર આવેલું છે. પ્રતિમાજી પંચધાતુના નાનકડા પણ મનોહર છે. પ્રતિમાજી પર સંવત ૧૬૮૧નો લેખ ઉત્કીર્ણ છે. લેખમાં આ પ્રભુજીનું શ્રી રત્ન પાર્શ્વનાથ નામ સૂચિત થયેલું છે.
સં. ૨૦૦૧ના માગશર સુદ ૧૦ને શનિવારે પૂ.આ. શ્રી નેમિસૂરીશ્વરજીના હસ્તે આ ગૃહમંદિરની પ્રતિષ્ઠા થઈ હતી.
પ્રાચીનતાના પુરાવા
પંદરમા સૈકામાં થયેલાં શ્રી જિનતિલકસૂરિએ “ખંભાત ચૈત્ય પરિપાટી"ની રચના કરેલી છે. ખંભાતમાં ૩૬ જિનાલયો હોવાનું તેમણે નોંધ્યું છે.
શ્રી મેઘવિજય કૃત "તીર્થમાલા”માં ખંભાત તીર્થ, તેનાં જિનાલયોની યશોગાથાનું ગૌરવપ્રદ વર્ણન કરાયેલું છે.
શ્રી કીર્તિમેરુએ “શાશ્વત તીર્થમાલા”માં ખંભાત તીર્થનો ઉલ્લેખ કરેલો છે. ડુંગર કવિએ રચેલી “ખંભાત ચૈત્ય પરિપાટી'માં ખંભાતનાં ચૈત્યોનું વર્ણન છે. શ્રી શીલવિજય કૃત “તીર્થમાલા”માં ખંભાતનાં ચૈત્યોનું વર્ણન કરાયેલું છે.
સં. ૧૭૫૦માં રચાયેલી શ્રી સૌભાગ્ય વિજય કૃત “તીર્થમાલા”માં ખંભાતનાં ચૈત્યોનો ઉલ્લેખ છે.
કવિ ઋષભદાસની રચનાઓમાં પણ ખંભાતના ચૈત્યોનું મનોહર આલેખન કરાયેલું છે.
પ્રભુનાં ધામ અનેક
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ખંભાતના માણેકચોકમાં આવેલું છે. અન્યત્ર આ નામનાં પ્રતિમાજી બિરાજમાન જાણવામાં નથી
પ્રભુનાં ઘામની પિછાણ –
અગાધશ્રુતના પારગામી સૂરિભગવંતોએ ખંભાતને શ્રુતસાધનાની ભૂમિ બનાવીને, મહાન ગ્રન્થોનાં સર્જન કર્યા ખંભાતના જ્ઞાનભંડારોમાં તે અણમોલ શ્રુત વારસો હજુ પણ સુરક્ષિત છે. ટેકરી પાસે નાની ધર્મશાળામાં શ્રી નીતિવિજયનો જ્ઞાનભંડાર પ્રતો અને ગ્રન્થોથી સમૃદ્ધ છે.
ભોંયરાપાડામાં શ્રી શાંતિનાથનો જ્ઞાનભંડાર પ્રાચીન છે. તેમાં તાડપત્રીય પ્રાચીન હસ્તલિખિત પ્રતો સુરક્ષિત છે.
તેમજ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનભંડાર, પં. કનક વિજય શાસ્ત્ર સંગ્રહ, આદિ ભંડારોમાં વિપુલ શ્રુતવારસો સચવાયો છે.
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય માણેક ચોકમાં
આવેલું છે. માણેક ચોકમાં બીજા પણ સાત ભવ્ય જિનાલયો શોભે છે. માણેકચોકની ખડકીમાં પ્રવેશ કરતાં જ પ્રાચીન શ્રી આદીશ્વર જિનાલય ડાબી બાજુમાં આવેલું છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના બે જિનાલયમાં ભવ્ય બિંબો બિરાજમાન છે. તેમાંના એક જિનાલયના ભોંયરામાં શ્રી આદિનાથ પ્રભુના વિશાળકાય પ્રતિમાજી નેત્રોનું રંજન કરે છે. અન્ય જિનાલયોમાં શ્રી શાંતિનાથજી. શ્રી વાસુપૂજ્ય સ્વામી. શ્રી ધર્મનાથજી, તથા શ્રી મહાવીર સ્વામી મૂળનાયક પદે બિરાજમાન છે.