Home > Know Jainism > 16 .શ્રી ભુવન પાર્શ્વનાથ
Jainonline.org
• 27-May-2025
16 .શ્રી ભુવન પાર્શ્વનાથ
30

પ્રથમ નજરે પ્રતિમા દર્શન
કૃષ્ણવર્ણનાં શ્રી ભવન પાર્શ્વનાથજીની ભકિત ત્રણ ભવનનું સામ્રાજ્ય આપવા સમર્થ છે સપરિકર પાષાણના આ શ્રી નવખંડા પાર્શ્વનાથજીની સેવના અખંડ સુખના સ્વામી બનાવે છે. પમાસનારૂઢ આ પરમેશ્વરની અર્ચના અચિન્ત્ય આત્મ વૈભવનો ખજાનો ખોલી આપે છે. સાતફણાથી છત્રિત આ ત્રિલોકનાથ નેત્રોનું રંજન કરે છે. ૨૭ ઈંચ ઊંચા આ અહિત ૨૨ ઈંચ પહોળા છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
ખંભાતના ભોંયરા પાડામાં શ્રી ભુવન પાર્શ્વનાથનું જિનાલય છે. ભોંયરા પાડામાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન છે. તેમાં પ્રથમ શ્રી શાંતિનાથ નેમનાથનું જિનાલય આવે છે. બીજા શાંતિનાથ જિનાલયમાં સં ૧૩૮૩ના લેખવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મનોહર છે. અન્ય પ્રતિમાઓ સોળમા સૈકાઓની છે. ત્રીજા જિનાલયમાં મૂળનાયક મલ્લિનાથજી નયન રમ્ય છે. ચોથા દેરાસરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામી બિરાજમાન છે.
પાંચમું શ્રી નવખંડા પાર્શ્વનાથનું જિનાલય પણ પ્રાચીન છે. “જયતિહુઅણસ્તોત” નામના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રીયુત ગિરધરલાલ હીરાભાઈએ ખંભાતના જિનાલયોની યાદી આપી છે. તેમાં તેમણે આ નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવન પાર્શ્વનાથ નામથી ઓળખાવ્યા છે.
કૃષ્ણવર્ણનાં આ પ્રતિમાજી નયનરમ્ય છે. શ્યામ પાષાણનું પરિકર પ્રભુજીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ભોંયરા પાડાના શ્રી પાર્શ્વનાથ જિનાલયે શ્રી હીરવિજય સૂરિના હસ્તે સં. ૧૬૩૬માં શ્રી અજિતનાથ બિંબની પ્રતિષ્ઠા થયાની માહિતી આપતો શિલાલેખ આ જિનાલયની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે.
મૂળનાયક પ્રભુને તે જ સ્થાને રાખીને સં. ૨૦૨૭માં આ જિનાલયનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો. ઉત્થાપિત કરેલા જિનબિંબોની પુન: પ્રતિષ્ઠા વૈશાખ સુદ ૧૧ને ગુરુવારે કરવામાં આવી હતી.
વૈશાખ સુદ ૫ના પ્રતિષ્ઠા દિનને શ્રી સંઘ પ્રતિવર્ષ ઊજવે છે.
પ્રાચીનતાનાં પુરાવા
અનેક પ્રાચીન રચનાઓનું સર્જન ખંભાતમાં થયેલું છે. તે રચનાઓની પ્રશસ્તિઓમાં ખંભાત તીર્થનો ઉલ્લેખ છે. આવાં અનેક પ્રમાણોની નોંધ આ ગ્રન્થમાં અન્યત્ર કરેલી છે. અહીં રચાયેલી કેટલીક ગુજરાતી રચનાઓમાં થયેલા ખંભાતના ઉલ્લેખો પર દ્રષ્ટિપાત કરીએ.
સં. ૧૪૨૨માં વિનયપ્રભે ખંભાતમાં શ્રી ગૌતમ સ્વામીના રાસની રચના કરી હતી.
શ્રીનન્નસૂરિએ ૧૬મા સૈકાના મધ્યમાં ખંભાતમાં રહીને “વિચારસોગઠી” “ગજસુકુમાર રાજર્ષિ સજ્ઝાય” તથા “પંચતીર્થ સ્તવન”ની રચના કરી હતી.
સં. ૧૫૬૭માં શ્રી લાવણ્ય સમયે “સુરપ્રિય કેવલીરાસ''ની અહીં રચના કરી હતી.
સં. ૧૬૪૨માં શ્રી વચ્છરાજે અહીં “સમ્યક્ત્વ કૌમુદી રાસ”ની રચના કરી હતી. તેમજ “શ્રી શાંતિનાથ ચરિત્ર'ની રચના કરી હતી.
સં. ૧૬૪૩માં શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયે શ્રી "વાસુપૂજ્ય-જિનપુણ્યપ્રકાશ રાસનું અહીં સર્જન કર્યું હતું. સં. ૧૬૫૩માં શ્રી કુશલલાભે 'શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્તવન'ની રચના કરી હતી. સત્તરમાં સૈકામાં શ્રી ઋષભદાસે ખંભાતમાં થોકબંધ ગુજરાતી કૃતિઓની ભેટ ઘરી.
સં. ૧૬૫૪મા શ્રી જયચંદ્ર ખંભાતમાં 'રસ રત્ન રાસ” રચ્યો હતો.
સં. ૧૬૫૯માં શ્રી સમયસુંદરે અહીં “સાંબપ્રધુમ્ન પ્રબંઘ' રચ્યો.
સં. ૧૬૮૫માં શ્રી જ્ઞાનસાગરે અહીં “અગડદત્ત રાસ''ની રચના કરી.
સં. ૧૬૯૬માં શ્રી ભાવવિજયે અહીં “ધ્યાનસ્વરૂપ ચોપાઈ** બનાવી.
સં. ૧૭૦૩માં શ્રી ભુવનકીર્તિએ અહીં “ગજસુકુમાલ ચોપાઈ” બનાવી.
સં. ૧૭૨૭માં શ્રી લક્ષ્મીવિજ્યે અહીં ચોમાસું રહીને “શ્રીપાલમયણાસુંદરી રાસ”ની રચના કરી.
સં. ૧૭૩૭માં શ્રી ભાનુવિજયે ૧૮મા સૈકામાં ખંભાતમાં "મૌન એકાદશી સ્તવન” ત્થા શાશ્વતા અશાશ્વતા જિન તીર્થમાલા”ની રચના કરી.શ્રી યશોવિજયે અઢારમા સૈકાના પૂર્વાર્ધમાં ખંભાતમાં રહીને “સાધુવંદણા” “મૌન એકાદશી ૧૫૦ કલ્યાણક સ્તવન" બ્રહ્મગીતા” “જંબુરાસ" આદિની રચના કરી.
સં. ૧૭૦૧માં શ્રીમતિસાગરે “ખંભાતની તીર્થમાલા” રચી.
સં. ૧૭૧૦માં શ્રીમતિસારે “ધન્નાઋષિ ચઉપઈ" ખંભાતમાં રચી.
સં. ૧૮૪૭માં શ્રી જિનહર્ષે અહીં “મત્સ્યોદર રાસ" રચ્યો.
સં. ૧૯૪૨માં શ્રી આત્મારામજી મહારાજે ખંભાતમાં “અજ્ઞાન તિમિર ભાસ્કર" નામના ગ્રન્થની રચના કરી.
પ્રભુનાં ઘામ અનેક –
શ્રી ભુવન પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ખંભાતના ભોંયરા પાડામાં આવેલું છે. આ પાર્શ્વનાથનું બીજું નામ શ્રીનવખંડા પાર્શ્વનાથ છે. શ્રીનવખંડા પાર્શ્વનાથ જિનાલયો તથા બિંબો ભારત ભરમાં અનેક સ્થળોએ છે. તેની નોંધ આ ગ્રન્થમાં અન્યત્ર આપેલી છે.
પ્રભુનાં ઘામની પિછાણ
ખંભાતને જિનાલયો,ઉપાશ્રયો. જ્ઞાન ભંડારો આદિનો વિપુલ વારસો પૂર્વજો તરફથી સાંપડ્યો છે. ખંભાત તેની સુરક્ષા કાજે સતત યત્નશીલ છે. તેથી પણ ચઢિયાતો વારસો ખંભાતવાસીઓને તેના
પૂર્વજો તરફથી મળેલો છે. તે છે ધર્મનિષ્ઠા અને આરાધનાનો વારસો. તે વારસાનું પણ ખંભાત વાસીઓએ કાળજીથી જતન કર્યું છે. ખંભાતની વર્તમાન પેઢી પણ ઔદાર્ય, ધર્મનિષ્ઠા, જિનભકિત, ક્રિયારુચિ આદિ ગુણોને ભૂલી નથી. આજે પણ ખંભાતના શ્રાવકો ઉદારતા પૂર્વક સાત ક્ષેત્રમાં સંપત્તિનો સવ્યય કરે છે. પ્રભાવક અને મહાન આચાર્ય ભગવંતોના સતત આગમન તથા ચાતુર્માસ અહીં થાય છે. દીક્ષા, પ્રતિષ્ઠા આદિના ભવ્ય મહોત્સવો પણ અવારનવાર ઊજવાય છે. ખંભાતમાં પ્રભુ ઘણા છે. તેમ પ્રભુપૂજકો પણ ઘણા છે. જૈન ધર્મના પાયાના સંસ્કારો ખંભાતના પ્રત્યેક બાળકમાં પણ દ્રષ્ટિગોચર થાય છે. પૌષધ, પ્રતિક્રમણ આદિ આચારોમાં પણ ખંભાતના શ્રાવકો અત્યંત રુચિવાળા છે. અહીંની પાઠશાળાઓ ખંભાતના જ્ઞાન પ્રેમની દ્યોતક છે. ખંભાતના દીક્ષિત અનેક સાધુ સાધ્વીઓ સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે.
તાજેતરમાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ભિજ્ય વિક્રમ સૂરીશ્વરજી મહારાજાના સાન્નિધ્યમાં માસક્ષમણની કઠિન તપશ્ચર્યાના તપસ્વીઓનો આંક ૧૦૮ થી પણ આગળ પહોંચાડીને ખંભાતે તેના સોહામણા સત્ત્વનો પરિચય આપ્યો છે.