Home > Know Jainism > 19. શ્રી મુલેવા પાર્શ્વનાથ
Jainonline.org
• 30-May-2025
19. શ્રી મુલેવા પાર્શ્વનાથ
16
.jpg)
પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
પાંચે ઈન્દ્રિયોના વિષયો અનુકૂળ બની જાય તે અરિહંતનો અતિશય છે અને અરિહંતના આલંબને ભકતની સર્વ ઈન્દ્રિયો તૃપ્ત થઈ જાય તે શું સમજવું? જુઓ, શ્વેતવર્ણના આ શ્રી મુલેવા પાર્શ્વનાથજી પર કર્ણોને ટેકવીએ તો નિસર્ગનું મહાસંગીત શ્રાવ્ય બને છે. પાષાણના આ પ્રભુજી પર નેત્રો માંડીએ તો તેના અનંત સૌંદર્યમાં ખોવાઈ જવાય છે. પદ્માસના-રૂઢ આ પરમાત્માની સમગ્રતામાંથી રેલાતી આર્હત્યની લોકોત્તર સુગંધ માણ્યા પછી ધ્રાણેન્દ્રિય બીજું શું ઝંખે? ૨૮ ૧/૨ ઈંચ ઊંચા આ ત્રિલોકનાથના અંગ અંગમાંથી નીતરતી કરૂણા સુધાને ચાખ્યા પછી મેવા મીઠાઈ અને પકવાનના થાળોમાં રસના શે લપટાય? ૨૨ ઈંચ પહોળા આ જગદાધારની પૂજનાને પામ્યા પછી અનંત ગુણરાશીનું અનુસંધાન અનુભવતી સ્પર્શેન્દ્રિય ધન્ય બને છે. ફણા રહિત આ વિશ્વવાત્સલ્યની વંદનાથી "મનડું કીમ હી ન બાજે?"ની ફરિયાદ પણ કેમ ન ટળે?
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
અમદાવાદમાં રીલીફ રોડ પર આવેલા શ્રી આદિનાથ જિનાલયમાં વહેલી પરોઢથી રાત્રે મોડે સુધી રહેતી સતત ભીડ આ પ્રભુજી પરની અમદાવાદ વાસીઓની અપૂર્વ શ્રઢાનું પ્રતિબિંબ પાડે છે. મૂળનાયક શ્રી આદિનાથજીની જમણી બાજુએ શ્રી મુલેવા પાર્શ્વનાથજી બિરાજમાન છે.
આ પ્રભુના પરમ પ્રભાવના અનુભવો શ્રદ્રાળુઓને અવારનવાર થયા કરે છે. પ્રભુજી અત્યંત મનોહર અને પ્રભાવક છે. કહેવાય છે કે સતત છ મહિના ધારણા પૂર્વક કોઈ આ પ્રભુજીનાં દર્શન કરી શકતું નથી. આ પરમાત્માની અસીમ કૃપાથી અનેક ભાવુકોએ ભૌતિક તથા આધ્યાત્મિક પ્રગતિ સાધી છે. અનેક અમદાવાદ વાસીઓનો આ પ્રભુજીનાં દર્શન કરીને જ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિનો પ્રારંભ કરવાનો નિત્ય ક્રમ બની ગયેલો છે.
અમદાવાદના ઈદલપુર નામના પરામાં અમદાવાદ નિવાસી વિશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ કુટુંબે પ્રાય: ૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે “મૂલેવા પાર્શ્વનાથ’” ભગવાનનું મંદિર બંધાવ્યું હતું એ હકીકત એક ચિરમુદ્રિત પુસ્તકના સ્તવનમાં ઉપલબ્ધ થાય છે. માટે એવી સંભાવના કરી શકાય કે તે મંદિર કાળક્રમે અદૃશ્ય થતાં ત્યાંના મૂળનાયક પ્રભુજી પાંજરાપોળમાં લાવીને બિરાજિત કર્યા હોય આજનો હરિપુરાનો વિસ્તાર તે કાળે ઈદલપુર નામે ઓળખાતો હતો.
શેઠ હઠીસીંગ કેસરીસીંગ ટ્રસ્ટ આ જિનાલયનો વહીવટ કરે છે. સ્વ. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના કુશળ માર્ગદર્શન હેઠળ આ જિનાલયનો જીર્ણોદ્વાર તાજેતરમાં જ થયો હતો. મૂળનાયક પ્રભુ તથા શ્રી મુલેવા પાર્શ્વનાથજી આદિ બિંબોને મૂળ સ્થાનેથી ખસેડયા વગર આ જીર્ણોદ્વાર કરવામાં આવ્યો.
અમદાવાદનું આ પ્રભાવક તીર્થ દર્શનીય છે.
પ્રાચીનતાના પુરાવા—
અમદાવાદના તીર્થ સદેશ ભવ્ય જિનાલયોનો નિર્દેશ અનેક પ્રાચીન રચનાઓમાં થયેલો છે. અમદાવાદની પ્રાચીનતાને પુરવાર કરતા થોક બંધ ઐતિહાસિક પ્રમાણો ઉપલબ્ધ થાય છે. પણ તે ઉલ્લેખોનું અવલોકન કરવાનું અત્રે અસ્થાને છે.
પ્રભાવક ચરિત્ર, પુરાતન પ્રબન્ધ સંગ્રહ, અનેક ગ્રન્થોની પ્રશસ્તિઓ તથા પ્રાચીન તીર્થમાળા સ્તવનોમાં અમદાવાદનાં ભવ્ય જિનાલયોનો ઉલ્લેખ છે.
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમવિજયકૃત "૩૬૫ શ્રી પાર્શ્વજિન નામ માલા”માં શ્રી પાર્શ્વ પ્રભુના “મુડેવા” નામનો ઉલ્લેખ છે.
સં. ૧૬૫૬માં રચાયેલા શ્રી નયસુંદર કૃત "શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં અમદાવાદનાં શ્રી પાર્શ્વપ્રભુનાં અનેક ચૈત્યોને જુહારવામાં આવ્યાં છે.
સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા ‘૧૦૮ના-મગર્ભિત- શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં પણ અમદાવાદનાં અનેક ચૈત્યોનો ઉલ્લેખ છે.
સં. ૧૬૯૫ના મહાવદ ૧૪ને ગુરૂવારે રચાયેલી શ્રી દેવચંદ્ર વિરચિત “શ્રી શત્રુંજય તીર્થ પરિપાટી'માં અમદાવાદનું મનોહર વર્ણન કરાયેલું છે.
સં. ૧૭૪૬માં રચાયેલી શ્રી શીલવિજયકૃત “તીર્થમાલા”માં અમદાવાદના ચૈત્યોની ભવ્યતા અને શ્રાવકોની સુશ્રાદ્ધતાનું સુંદર વર્ણન છે.
સં. ૧૭૫૦માં રચાયેલી શ્રી સૌભાગ્ય વિજ્ય કૃત “તીર્થમાલા”માં અમદાવાદનાં અનેક ચૈત્યોને જુહારવામાં આવ્યાં છે.
શ્રી કલ્યાણસાગરકૃત “શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી'માં અમદાવાદના શ્રી પાર્શ્વનાથ સ્વામીને વંદના કરવામાં આવી છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી મુલેવા પાર્શ્વનાથનું મુખ્ય સ્થાન અમદાવાદ રીલીફ રોડ પર આવેલું છે. તથા શ્રી જીરાવલા તીર્થની છઠ્ઠી દેરીમાં પણ શ્રી મોરૈયા પાર્શ્વનાથનું મનોહર બિંબ છે.
પ્રભુનાં ઘામની પિછાણ-
અમદાવાદની પોળે પોળે ઊભેલાં ભવ્ય જિનાલયો અને તેમાં બિરાજમાન મનોહર વિરાટકાય જિનબિંબો આંખોને આનંદિત કરી દે છે. એક એક બિંબો તેની ભવ્યતાની અનોખી છાપ પાડે છે.
શેઠ હઠીસિંહની વાડીમાં આવેલું હઠીસિંહનું દહેરાસર બાવન મનોહર દેવકુલિકાઓથી યુકત છે. મંદિરમાં પથરાયેલો શિલ્પકલાનો વૈભવ આબુના વિશ્વવિખ્યાત જિનાલયોની યાદ અપાવે છે.
વાઘણપોળમાં શ્રી અજિતનાથ પ્રભુનું બાવન જિનાલય યુક્ત ભવ્ય જિનાલય છે. આ જિનાલય શેઠ વખતચંદ ખુશાલચંદે બંધાવેલું છે. મૂળનાયક પર સં. ૧૧૧૨નો લેખ ઉત્કીર્ણ છે.
પરિકર યુક્ત પ્રતિમાજીની શોભા સુંદર છે. ધાતુના કાઉસ્સગ્ગીઆ શ્રી અજિતનાથનું બિંબ બેનમૂન છે.
સમેત શિખરની પોળમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ઘુમ્મટ બંધા જિનાલય મનોહર છે. આ મંદિરમાં અપૂર્વ કલા વૈભવ પથરાયેલો છે. સંવત ૧૮૬૩માં શ્રી રૂપવિજયજી મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. નીસાપોળમાં આવેલું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું મંદિર પણ ૪૦૦ વર્ષથી અધિક પ્રાચીન છે. ૬ ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા ચિત્તને હી લે છે. કહેવાય છે કે પૂર્વે આ પ્રતિમાનાં દર્શન કરવા માટે ૧ સોના-મહોર આપવી પડતી હતી.
શ્રી સંભવનાથની ખડકીમાં આવેલું શ્રી સંભવનાથ જિનાલય શહેરનું પ્રાચીનતમ જિનાલય ગણાય છે.
ટૂંકમાં અહીંનું એક એક મંદિર તેની પ્રાચીનતા ભવ્યતા અને પ્રભાવકતાથી દર્શકનાં દિલ હરી લે છે. તેમાં રીલીફ રોડ પર આવેલી પાંજરાપોળમાં શ્રી મોરૈયા પાર્શ્વનાથની ખડકીમાં આવેલાં મી આદિનાથ ભગવાનનાં દેરાસરમાં મૂળનાયકની જમણી બાજુએ આ શ્રી મુલેવા પાર્શ્વનાથજી બિરાજે છે. દેરાસર આદિનાથનું છતાં ખડકી કે મંદિર મોરૈયાના નામે ઓળખાય છે. તે જ આ પરમાત્માના પ્રભાવની સાક્ષી છે.