Home > Know Jainism > Shri Bhadrabahuswami
Jainonline.org
• 2-Jun-2025
Shri Bhadrabahuswami
2234
.jpg)
શ્રી ભદ્રબાહુ સ્વામી
ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે બ્રાહ્મણકુમારો જેઓ શ્રી પ્રતિષ્ઠાનપુર નગરમાં રહેતા હતા. તે બન્નેએ શ્રી યશોભદ્રસૂરિજી પાસે બોધ પામી દીક્ષા લીધી હતી. મોટા ભાઈ ભદ્રબાહુ મુનિ જ્ઞાન, ધ્યાન-સંયમમાં ઘણો વિકાસ સાધી ચઉદપૂર્વી- શ્રુતકેવળી થયા, આચાર્ય પદવી પામ્યા અને તેમણે દશ વૈકાલિક, આવશ્યકસૂત્ર આદિ દશ ગ્રંથો પર નિર્યુક્તિ રચી.
વરાહમિહિર અસ્થિર અને અભિમાની હોઈ ગુરુજીએ તેમને આચાર્ય પદવી ન આપી. તેથી તેમણે સંસારી મોટા ભાઈ ભદ્રબાહુ સ્વામીને આચાર્ય પદવી આપવા કહ્યું. ભદ્રબાહુ સ્વામીએ ગુરુ મહારાજની આજ્ઞા લાવવા કહ્યું. જે આજ્ઞા ન મળવાથી ક્રોધિત થઈ તે મુનિવેશ છોડી ગૃહસ્થ થઈ ગયા, અને નિર્વાહ માટે જ્યોતિષીનો ધંધો શરૂ કર્યો. પોતાની આપબડાઈ બહુ જ કરવા માંડી. કુંડલીય નવમાંશ અને લગ્ન કાઢવામાં હું નાનપણથી જ હોશિયાર છું. સતત જ્યોતિષના વિચારો મારા મગજમાં ઘોળાતા હોય છે.
એક વાર હું જંગલમાં ગયો હતો ત્યાં એક મોટી શીલા ઉપર મેં સિંહલગ્ન કાઢયું. તેને ભૂંસવું હું ભૂલી ગયો અને ઘેર આવ્યા બાદ યાદ આવવાથી રાત્રી હોવા છતાં હું એ ઘોર વનમાં ગયો. ત્યાં જઈને જોયું તો મારી આંકેલી લગ્ન કુંડલી ઉપર વનનો રાજા સિંહ બેઠેલો હતો. પણ મેં જરાય ગભરાયા વગર સિંહની નીચે હાથ નાંખી લગ્ન કુંડલી ભૂંસી નાખી. મારા આ સાહસથી સિંહલગ્નના સ્વામી સૂર્યદેવ પ્રસન્ન થઈ પ્રગટ થયા. તેમણે જે ઈષ્ટ હોય તે માંગવા કહ્યું. મે તેમને જ્યોતિષ ચક્ર, ગ્રહચાર, નભોમંડલ, નક્ષત્રગતિ બતાવવા અને મર્મ સમજાવવા કહ્યું. તેમણે પોતાના વિમાનમાં બેસાડી સંપૂર્ણ આકાશ મંડળ અને ગ્રહ-નક્ષત્રાદિની ગતિ દેખાડી. તેથી જ્યોતિષ સંબંધી ઊંડુ જ્ઞાન મારી પાસે હોય તે સ્વાભાવિક જ છે. આવા આવા બણગાં તે ફુંક્યા કરતો. આવી વાતોથી તેને ઠીક ઠીક પ્રસિદ્ધિ મળી. ત્યાંના મહારાજા જિતશત્રુએ તેને રાજ જ્યોતિષી અને પુરોહિતની રાજમાન્ય પદવી આપી. તે જૈનોનો દ્વેષ કરવા લાગ્યો. કેટલીક વાર જૈનોની વિરુદ્ધ રાજાના કાન ભંભેરે. ધર્મની નિંદા પણ કરે- કરાવે.
વરાહમિહિરના આવા જૈનો વિરોધી પ્રચારોનો સામનો કરાવા ત્યાંના જૈનોએ શ્રી ભદ્રબાહુ સ્વામીજીને આગ્રહપૂર્વક ત્યાં પધરામણી કરાવી અને કદી ન થયો હોય એવા ઠાઠપૂર્વક તેમનો નગર પ્રવેશ કરાવ્યો. શ્રી ભદ્રબાહુ સ્વામીનાં વ્યાખ્યાનોનો ઘણો પ્રભાવ પડયો. ઠેર ઠેર તેમની પ્રજ્ઞા, પ્રવચન આદિની પ્રશંસા થવા લાગી. આ બધું જોઈ-સાંભળી વરાહમિહિરને અપાર ખેદ અને બળતરા થઈ.
એવામાં રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે તેની જન્મકુંડળી બનાવી. રાજકુમારનું પૂરું સો વર્ષનું આયુષ્ય અને અદ્ભુત પ્રભાવની આગાહી કરી. બીજા પંડિતોએ પણ શુભયોગો આદિની વાતો કરી. રાજા ઘણા પ્રસન્ન થયા. ગામના ગણ્ય-માન્ય પ્રતિષ્ઠિત માણસો રાજમહેલમાં કુમાર જન્મનો આનંદ પ્રગટ કરવા આવી ગયા. વરાહમિહિરે લાગ જોઈ રાજાને કહ્યું, “વધામણી માટે ગામના સર્વલોક આવી ગયા પણ જૈનોના આગેવાન ભદ્રબાહુ નથી આવ્યા. આવા ઈર્ષાળુને ગામથી દૂર કરવા જોઈએ."
આ સાંભળી રાજાએ મંત્રીને નહીં આવવાનું કારણ જાણવા શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યો. તેને આચાર્યશ્રીએ કહ્યું, 'મંત્રી! સાતમે દિવસે બીલાડીથી કુમારનું મૃત્યુ થવાનું છે, પછી તેના જન્મ માટે શું આનંદ કરીએ ? પુત્રના મૃત્યુથી ઊપજેલા આઘાતમાંથી ઉગારવા અને ધર્મમય આશ્વાસન દેવા જરૂર આવશું.' મંત્રીએ આ વાત રાજાને જણાવી. તેથી બધા ઊંડી ચિંતામાં પડી ગયા.
સૌથી પહેલા રાજાએ ગામમાંથી બધી બિલાડીઓને તગેડી મૂકી અને પાછી ક્યાંયથી ન આવે તેવો પ્રબંધ કર્યો અને બાળકને ભોંયરામાં રાખી દીધો. બરાબર સાતમા દિવસે ધાવતા બાળકના માથા ઉપર દરવાજો બંધ કરવાનો હુલાડો પડ્યો અને બાળકનું મૃત્યુ થયું. વરાહમિહિર સાવ ખોટો પડયો અને શ્રી ભદ્રબાહુ સ્વામીના જ્ઞાન બદલ લોકોને તેમજ રાજાને બહુમાન ઊપજ્યું. શોક સંપ્ત રાજાએ શ્રી ભદ્રબાહુ સ્વામીને આદરપૂર્વક તેડાવી પૂછ્યું: ‘તમે બાળકનું આયુષ્ય સાત દિવસનું શાથી જાણ્યું? બાળકના મૃત્યુનો સમય સાચો પડયો પણ બિલાડીથી મોત થવાની વાત ખોટી પડી. ગુરુમહારાજે તે આગળો મંગાવવા કહ્યું અને તે ઉપર બીલાડીનું ચિત્ર હતું તે રાજાજીને બતાવ્યું, અને મૃત્યુના ટાઈમ અંગે જણાવ્યું કે વરાહમિહિરે કુમારના જન્મ બાદ વાજાં વાગ્યાં તે પછીનું લગ્ન જોયેલ જ્યારે અમે વાજાં વાગ્યાં પૂર્વનું લગ્ન જોયેલ તેથી આ મોટો ફર્ક પડયો.
એક વાર રાજસભામાં વરાહમિહિર તથા શ્રી ભદ્રબાહુ સ્વામીજી આદિ બેઠા હતા, ત્યારે રાજાએ કહ્યું ‘કંઈ અજબ જેવી કોઈ ઘટના હોય તો જણાવો.' વરાહમિહિરને પોતાની પંડિતાઈ બતાવવાનો ભારે ચસકો. તેણે તરત કહ્યું “આજે સંધ્યા સમયે અચાનક વરસાદ પડશે, તેમાં મેં કાઢેલા માંડલામાં એક અર્ધા પલના વજનનો મત્સ્ય પડશે’ રાજાએ આચાર્ય દેવને પૂછ્યું : 'શું આ સાચું કહે છે ?' તેમણે કહ્યું - 'વાત કંઈક અંશે સાચી છે પણ તે માછલું કુંડાળામાં નહીં પણ કુંડાળાની બહાર પૂર્વભાગમાં પડશે અને વજન અર્ધા પલ કરતાં થોડું ઓછું હશે. સાંજે વરસાદ પડ્યો અને ભદ્રબાહુ સ્વામીજીના કહેવા પ્રમાણે માછલું કુંડાળાની બહાર પડ્યું. વજન પણ અર્ધા પલ કરતાં ઓછું થયું. પરીણામે જૈન ધર્મનો જય જયકાર થયો. રાજા પણ જિનધર્મી થયો. સ્વમાન ખોઈ બઠેલા વરાહ-મિહિરે સંન્યાસ લીધો. અજ્ઞાનકષ્ટ આચરી, મરી પ્રાંતે વ્યંતર થયો. તેને જૈન માત્ર ઉપર દ્વેષ હતો. સાધુઓ ઉપર તો તેનું કંઈ જોર ચાલ્યું નહીં. પણ શ્રાવકો ઉપર તેણે મરકીનો ઉપદ્રવ કર્યો. આ જાણી શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉપદ્રવ ઉપસર્ગને ઉપશાંત કરવા “ઉવસગ્ગહરં' સ્તોત્રની રચના કરી, તેના સ્મરણ-શ્રવણથી ઉપદ્રવ ઉપશાંત થયો. આ સ્તોત્રમાં આજે પણ એવી જ અચિંત્ય શક્તિ છે.
આમ, શ્રુતધર શ્રી ભદ્રબાહુ સ્વામી ઘણા જીવોને ઘર્મ પમાડી અંતે સ્વર્ગે ગયા.
શ્રી ભદ્રબાહુ સ્વામી સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર ક્લિક કરો. ⬇️
બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનના મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️
https://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati