Home > Know Jainism > 22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ
Jainonline.org
• 3-Jun-2025
22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ
38

પ્રથમ નજરે પ્રતિમા દર્શન –
પ્રભાવના પયોનિધિ પદ્માવતી પૂજિત આ પાર્શ્વનાથજી પદ્માવતી બિરાજમાન છે. અંતરમાં આહલાદ ઉપજાવતા ૧૩ ઈંચ ઊંચા નાનકડા આ પ્રભુજી નયનમનોહર છે. મનમર્કટને સ્થૈર્યના સોપાને ચડાવતા આ શિવપુરના સાર્થવાહ સાત ફણાથી સમલંકૃત છે. ૧૦ ૧/૨ ઈંચ પહોળા આ પરમદેવની પૂજના પુણ્યકારી છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
અમદાવાદથી પૂર્વદિશામાં આવેલું નરોડા એ પૂર્વકાળની નિષધનગરી હોવાનું દંતકથા જણાવે છે. નળરાજાની આ નગરી હતી. અહીંના એક મહાદેવ મંદિરનું શિવલિંગ નળરાજાના સમયનું હોવાની માન્યતા છે.
નરોડામાં શેઠ હઠિસિંહ કેસરીસિંહે બંધાવેલું આ શિખરબંધ ભવ્ય જિનાલય સુંદર શોભે છે. આ જિનપ્રાસાદના મૂળ નાયક શ્રી પદમાવતી પાર્શ્વનાથ લોકમાં શ્રી ગોડી પાર્શ્વનાથના નામથી વધુ પ્રસિદ્ધ છે. મૂળનાયક પ્રભુજી નાનકડા પણ મનોહર છે. આ પ્રભુજી જમીનમાંથી પ્રગટ થયા હતા.
આ તીર્થનો પ્રભાવ ખૂબ વ્યાપક બનેલો છે. અમદાવાદ વાસીઓ આ તીર્થનો ખૂબ આદર કરે છે. દર પૂનમે તથા બેસતા મહિને અહીં મેળો ભરાય છે. અને યાત્રિકોનાં ટોળાં ઊમટે છે.
આ જિનપ્રાસાદની નિકટના એક ટીંબામાંથી મળી આવતા પ્રાચીન અવશેષો ત્યાં પૂર્વે એક પ્રાચીન અને ભવ્ય જિનપ્રાસાદ અસ્તિત્વમાં હોવાનું અનુમાન કરાવે છે.
અહીંના પદ્માવતી અત્યંત પ્રાચીન અને પ્રભાવપૂર્ણ હોવાથી પદ્માવતી પૂજિત આ પાર્શ્વનાથ શ્રી પદ્માવતી પાર્શ્વનાથના નામથી ખ્યાતિ પામેલા છે.
પ્રાચીનતાનાં પુરાવા –
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા"માં શ્રી પદ્માવતી પાર્શ્વનાથના નામની ગૂંથણી થયેલી છે.
શ્રી સંઘવિજય ગણિ પ્રણીત “શ્રી પાર્શ્વનાથ સપ્તતીર્થી સ્તવન"માં વીજાપુરના શ્રી પદ્માવતી પાર્શ્વનાથની સ્તવના થયેલી છે.. સં. ૧૭૫૫માં રચાયેલી શ્રી સૌભાગ્ય વિજય કૃત “તીર્થમાલા”માં નરોડાના પદ્માવતી પાર્શ્વનાથ મહિમા સંપન્ન હોવાનો ઉલ્લેખ થયો છે.
પ્રભુનાં ઘામ અનેક -
શ્રી પદ્માવતી પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ નરોડા છે. વીજાપુરમાં પણ શ્રી પદ્માવતી પાર્શ્વનાથનું જિનાલય છે.
પ્રભુનાં ઘામની પિછાણ —
અમદાવાદથી ૮ કી.મી. દૂર આવેલું આ તીર્થ નરોડા રેલવે સ્ટેશનથી ૧૫ કી.મી. દૂર છે. આ ભવ્ય શિખરબંધ જિનાલયના સભામંડપની ભીંતોમાં તીર્થોના વિવિધરંગી નકશા દર્શનીય છે.
૫૦ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં જૈનોનાં ૩૦૦ ઘર છે. ઉપાશ્રય, ધર્મશાળા આદિની સુંદર સગવડ છે.
અહીંના પદ્માવતી દેવી ખૂબ મહિમાસંપન્ન ગણાય છે. દરપૂનમ તથા બેસતા મહિને અહીં મેળો ભરાય છે.