Home > Know Jainism > 23. શ્રી મુહરિ પાર્શ્વનાથ
Jainonline.org
• 4-Jun-2025
23. શ્રી મુહરિ પાર્શ્વનાથ
18

પ્રથમ નજરે પ્રતિમાદર્શન –
ટીંટોઈ ગામની મધ્યમાં એક ભવ્ય શિખરબદ્ધ જિનાલયમાં કલાત્મક પરિકર વચ્ચે શ્રી મુહરિ પાર્શ્વનાથ બિરાજે છે. આ શ્વેત પાષાણનાં પ્રાચીન પ્રતિમાજી મોહક સાત ફણાથી અલંકૃત છે. પદ્માસન બિરાજતા આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૭ ૧/ ૪ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
નિત્ય પ્રભાતના પ્રતિક્રમણમાં જગચિંતામણિ ચૈત્યવંદન દ્વારા ભાવુકો શ્રી મુહરિ પાર્શ્વનાથની સ્તુતિ કરે છે. શ્રી ગણધર પરમાત્મા રચિત આ ચૈત્યવંદન સૂત્રમાં “મુહરિ પાસ દુહ દુરિઅ ખંડણ'નો પાઠ આ પ્રતિમાની પ્રાચીનતા અને પ્રભાવનો પ્રબળ પુરાવો છે. આ પાઠથી પ્રતિમાજી ચોથા આરાનાં છે. એ સહેજે પુરવાર થાય છે.
પૂર્વે બાર ગાઉના ઘેરાવા વાળું મુહરિ નામનું મોટું નગર હતું. ધર્મ સંસ્કૃતિ અને વ્યવસાયનું તે મહત્ત્વનું કેન્દ્ર હતું. આ નગરમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું ભવ્ય જિનાલય હતું. ક્રુર કાળપુરુષે તેનું કર્તવ્ય બજાવ્યું. નગર ઉપર મુસ્લિમ આક્રમણોના ઓળા ઊતર્યા. અધિષ્ઠાયકે સ્વપ્ન દ્વારા પ્રતિમાની રક્ષા માટે શ્રાવકોને ચેતવ્યા. પ્રતિમાજીને સુરક્ષિત સ્થાને સ્થળાન્તર કરવામાં આવ્યાં . અને મુસ્લિમ આક્રમણના સકંજામાં નગર સપડાઈ ગયું. મૂળ મુહરિ ગામના વાસી હોવાથી આ પ્રભુજી “મુહરિ પાર્શ્વનાથ’'ના નામથી ઓળખાય છે.
કેટલાંક લોકોના મુખે પ્રભુજીના આ નામની ભીતરમાં રહેલી બીજી પણ દંતકથા સંભળાય છે. આ પ્રતિમાજીનાં દર્શન કોઈ પણ વિના મૂલ્યે કરી શકતું નહિં. પ્રભુજીનાં દર્શન માટે ગામના ઠાકોરને એક મહોરનું મૂલ્ય ચૂકવવું પડયું હતું. પ્રભુજીનાં દર્શન હુંએક સોનામહોરના મૂલ્યથી પ્રાપ્ત થતાં હતાં. માટે ‘મોહરિ પાર્શ્વનાથ” એવું નામ લોકજીભે ચડી ગયું.
થોડાં વર્ષો પૂર્વે એક યતિએ સ્વપ્નમાં આ મનોહર પ્રતિમાજીને શામળાજીના ડુંગરમાં એક ખંડેરમાં દટાયેલાં જોયાં. સ્વપ્નના સંકેત અનુસાર પ્રભુજીને લેવા તે એક યવનનું ગાડું લઈને સૂચિત સ્થાને પહોંચ્યા. પરમાત્માનાં દર્શન કરીને હર્ષઘેલા બનેલા યતિ પ્રતિમાને ગાડામાં પધરાવવા પ્રયત્નશીલ બન્યા ઘણા પ્રયત્નો છતાં પ્રતિમાજી મૂળ સ્થાનેથી જરા પણ ન ખસ્યાં. નિરાશ થઈને યતિ પાછા ફર્યા.તે દિવસે રાત્રે જોયતાભાઈ નામના એક ગૃહસ્થને અધિષ્ઠાયક દેવે ફરી સ્વપ્ન આપ્યું. સ્વપ્નમાં હિન્દુનું ગાડું પ્રભુજીને લેવા માટે લઈ જવાની સૂચના થઈ. બીજા દિવસે ટીંટોઈ. દઘાલિયા, મોડાસા અને સરડોઈ એ ચાર ગામના સંઘો ભેગા મળીને પ્રભુજીને લેવા ગયા.
એક હિન્દુના બળદ ગાડામાં પ્રભુજીને શ્રી સંઘે પધરાવ્યા. અને ગાડાની સાથે જયનાદો પૂર્વક સંઘ પણ ચાલ્યો. ટીંટોઈ ગામની મધ્યમાં ગાડું અટકી પડયું. ત્યાંજ ભવ્ય જિનાલય બંધાવી પ્રભુજીને પધરાવવામાં આવ્યાં. આ રીતે આ પ્રતિમાજી શામળાજી નજીક આવેલા મેશ્વો સરોવરની પાજ પાસે દટાયેલા જિનમંદિરમાંથી સ્વપ્નના સંકેત દ્વારા મળી આવ્યાં હતાં. ટીંટોઈના નૂતન ભવ્ય જિનાલયમાં સંવત ૧૮૨૮ની સાલમાં વૈશાખ સુદ ૫ના દિને પરમાત્માને ગાદીનશીન કરવામાં આવ્યાં
પ્રાચીનતાનાં પુરાવા -
જગ ચિંતામણિ ચૈત્યવંદનમાં શ્રી પ્રભુવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીજીએ શ્રી મુહરિ પાર્શ્વનાથને દુ:ખ અને દુરિતનું ખંડન કરનારા જણાવ્યા છે.
સંવત્ ૧૬૬૫ના આસો વદ-૯ના દિને કવિ નયસુંદરે રચેલા “શ્રી રાંખેશ્વર પાર્શ્વનાથના છંદ'માં આ પાર્શ્વ પ્રભુની પણ સ્તવના કરવામાં આવી છે.
સંવત્ ૧૬૬૭માં કવિ શાંતિ કુશલે '૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન” રચ્યું છે. તેમાં તેમણે પણ આ પાર્શ્વપ્રભુની સ્તવના કરી છે.
સંવત્ ૧૬૮૯ના પોષ વદ-૧૦ના દિને મુનિ ગુણવિજ્યના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી ૧૦૮ પાર્શ્વનાથ સ્તવન"માં શ્રી મુહરિ પાર્શ્વનાથની પણ સ્તવના કરવામાં આવી છે.
અઢારમી સદીમાં કવિવર જ્ઞાન વિમલે “૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"ની રચના કરી છે. તેમાં પણ તેમણે શ્રી મુહરિ પાર્શ્વનાથનું નામ સ્મરણ કર્યુ છે.
સંવત્ ૧૮૮૧ના ફાગણ વદ રના દિને પં. ઉત્તમ વિજયે રચેલા “શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદ'માં શ્રી મુહરિ પાર્શ્વનાથનો પણ નામનિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રભુનાં ધામ અનેક
વર્તમાનમાં શ્રી મુહરિ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ સાબરકાંઠા જિલ્લાના ટીંટોઈ ગામમાં આવેલું છે. તે ઉપરાંત શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથના દેરાસરની ભમતીના એક ગોખલામાં તથા શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની ૪૫મી દેરીમાં પણ શ્રી મુહરિ પાર્શ્વનાથની મૂર્તિ બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ —
અમદાવાદથી ઉદેપુર જતી રેલવેમાં શામળાજી સ્ટેશને ઉતરીને ટીંટોઈ જવાય છે. અમદાવાદ, સુરત. ભરૂચ આદિ મુખ્ય
શહેરો સાથે તે રોડ રસ્તે જોડાયેલું છે. આ નગરમાં જૈનોનાં ૬૦ ઘર ખુલ્લાં છે.ધર્મશાળા, આંયબિલશાળા બે ઉપાશ્રય જ્ઞાન ભંડાર આદિ વિદ્યમાન છે. કેસરિયાજી તીર્થ અહીંથી ૪૫ કિ.મી. દૂર છે. નાનાપોસીના તીર્થ પણ નિકટવર્તી ગણાય છે. ટીંટોઈ મોડાસાથી દશ માઈલ દૂર છે.