Home > Know Jainism > 24. શ્રી પોસીના પાર્શ્વનાથ
Jainonline.org
• 5-Jun-2025
24. શ્રી પોસીના પાર્શ્વનાથ
17

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
નાના પોસીના ગામની મધ્યમાં રહેલા ભવ્ય શિખરબંધી જિનાલયમાં પ્રવેશ કરતાં જ શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન થાય છે. શ્વેત પાષાણનાં આ નયન રમ્ય પ્રતિમાજી પદ્માસને બિરાજે છે. ૩૧ ઈંચ ઊંચા અને ૨૯ ઈંચ પહોળાં આ પ્રતિમાજીના મસ્તકે ફણા નથી. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિએ આપેલો અમૂલ્ય વારસો છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
શ્રી પોસીના પાર્શ્વનાથનાં આ મનોહર પ્રતિમાજીના ઉદ્દભવને જાણવા અતીતની ગહનતામાં પ્રવેશ કરવો પડે છે. ૧૨ સૈકા પૂર્વેની વાત છે. એક તપોધન બ્રાહ્મણ ખેતર ખેડી રહ્યો હતો. અચાનક, કંથેરના વૃક્ષ નીચે હળ અટકયું. કુતૂહલપ્રિય આ બ્રાહ્મણે તપાસ આદરી. ખોદકામ કરતાં ૩૧ ઈંચ ઊંચા એક મનોહર પ્રતિમાજી પ્રાપ્ત થયાં. હર્ષઘેલો આ બ્રાહ્મણ ખેડૂત કૃષિકાર્યને વીસરીને આ પ્રતિમાજીનાં દર્શનનું અમૃત પાન કરવા લાગ્યો. આ પાવિત્ર્યનો મહાપુંજ ખેતરમાં ન શોભે એમ વિચારી આ પવિત્ર જિનબિંબ બ્રાહ્મ મણે જૈન સંઘને સોંપ્યુ. શ્રી સંઘે જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિમાજીને તેમા પધરાવ્યાં
ત્યારબાદ, પરમાર્હત્ કુમારપાળના- સમયમાં નૂતન ભવ્ય જિનાલય બન્યુ. કાળક્રમે અનેકવાર જીર્ણોદ્વાર થતા રહયા. જિનાલયમાં રહેલા અન્ય જિનબિંબો પર વિ.સં ૧૨૦૧ થી સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીના લેખો છે. અને શ્રી આણંદ-વિમલસૂરિ શ્રી વિજયસિંહસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી વિજયહીરસૂરિ અને શ્રી વિજયદેવસૂરિ જેવા ભૂતકાળના મહાપ્રભાવક આચાર્ય ભગવંતોએ અહીં પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
આ તીર્થનો છેલ્લો જીર્ણોદ્વાર પૂજ્યપાદ 6આચાર્ય દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી થયો. અને તેઓશ્રીના વરદ હસ્તે મૂળનાયક સિવાય કેટલાંક શ્રી જિનબિંબોની પ્રતિષ્ઠા વિ.સં ૨૦૦૮ના પોષ વદ-૬ના રોજ મહોત્સવપૂર્વક થઈ. જીર્ણોદ્ધૃત આ તીર્થ અત્યંત આહ્લાદક અને રમણીય બન્યું છે.
ઈડરના જૈન સંઘની શેઠ આણંદજી મંગળજીની પેઢી આ તીર્થનો વહીવટ સંભાળે છે.
માગસર વદ ૧૦ની પ્રતિવર્ષ ઉજવણી થાય છે. આ દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઊમટે છે. અહીં શ્રાવણ વદ-૮ના દિને જૈનેતરોનો મોટો મેળો ભરાય છે.
પ્રાચીનતાના પુરાવા—
આ તીર્થ પ્રાચીન અને પ્રભાવક છે. પણ વધુ પ્રસિદ્ધિને પામેલું નથી.
૧૫મી સદીમાં થયેલા મેઘ કવિએ રચેલી તીર્થમાલામાં તેમણે પોસીના તીર્થને પણ ગૂથ્થું છે.
સં. ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે ગૂંથેલી ‘૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા”માં શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુનું નામ પણ ગ્રથિત થયેલું છે.
સં. ૧૬૫૬ના આસો વદ ૯ને મંગળવારે કવિ નયસુંદરે ‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ”ની રચના કરી છે. તેમાં તેમણે શ્રી પોસીના પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે.
સંવત ૧૬૮૯ના પોષ વદ-૧૦ના દિને મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુને પાપ નિવારક તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
સં. ૧૬૯૬માં કવિ રાજરત્ને “શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુના પસાયથી વિજય શેઠ-વિજયા શેઠાણીનો રાસ ઈડરમાં રહીને રચ્યો ’એમ તેમણે રાસની પ્રશસ્તિમાં નોંધ્યું છે.
સં.૧૭૨૧માં શ્રી મેઘવિજય ઉપાધ્યાયે રચેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં શ્રી પોસીના પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ છે.
૧૮મી સદીમાં થયેલા કવિવર શ્રી જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત પાર્શ્વજિન સ્તવન”માં શ્રી પોસીના પાર્શ્વનાથની ગણના ૧૩૫ નામમાં કરેલી છે.
૧૮મી સદીમાં શ્રી કલ્યાણ સાગરે રચેલી “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી”માં શ્રી પોસીના પાર્શ્વનાથને “પ્રત્યક્ષ પ્રભુ” તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
સં.૧૮૮૧ના ફા.વ.-રના દિને પંડિત ઉત્તમ વિજયે ગાયેલા "શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામના છંદ''માં તેમણે શ્રી પોસીના પાર્શ્વનાથને પણ યાદ કર્યા છે. પ્રભુનાં ઘામ અનેક—
નાના પોસીના ગામમાં શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. તદુપરાંત, જીરાવલા તીર્થમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની ભમતીમાં નવમી દેરીમાં અને શાન્તાક્રુઝ પૂર્વ (મુંબઈ)માં આવેલા શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
સાબલી પોસીના કે નાના પોસીના તરીકે ઓળખાતું આ તીર્થ સાબરકાંઠા જીિલ્લામાં ઈડરથી ૨૨ કી.મી. દૂર આવેલું છે. ઈડર સંઘની “શ્રી આણંદજી મંગળજીની પેઢી” આ તીર્થનો વહીવટ કરે છે. અને તીર્થના સર્વાગી વિકાસ માટે પેઢી સતત પ્રયત્નશીલ છે. આ
તીર્થ બાજુમાં રહી જતું હોવાથી વધુ પ્રસિદ્ધિ પામેલું નથી. જમીન માર્ગે આ તીર્થ ઈડર સાથે જોડાયેલું છે. ધર્મશાળાની સુંદર સગવડ છે. અત્યંત રમણીય સ્થાન છે.