Home > Know Jainism > Shri Aaryarakshit Suri
Jainonline.org
• 9-Jun-2025
Shri Aaryarakshit Suri
2456
.png)
આર્ય રક્ષિતસૂરિ
દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બન્ને જૈનધર્મી હતાં. તેમને આર્યરક્ષિત અને ફાલ્ગુરક્ષિત નામે બે પુત્રો હતા. તેમાં મોટો પુત્ર પાટલીપુત્ર જઈ સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં પાછો આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હાથી પર બેસાડી નગરપ્રવેશ કરાવ્યો. નગરના લોકો તેનું આગમન જોવા મોટી સંખ્યામાં આવ્યા. આર્યરક્ષિત ચારે બાજુ નજર ફેરવતો કંઈક શોધતો હતો. તેની નજરમાં ક્યાંય પોતાની મા ન દેખાઈ. તેને થયું, મારા સન્માનાર્થે આખું ગામ આવ્યું છે પણ મારી મા કેમ નથી આવી ? આથી ઉતાવળો ઉતાવળો બધું છોડી તે પોતાના ઘરે આવ્યો.
મા સામાયિકમાં બેઠી હતી. સામાયિક પારી માએ આર્યરક્ષિતને પૂછ્યું, ‘મજામાં છે ને ?' આર્યરક્ષિતને આ આવકાર ઠંડો લાગ્યો. તેણે પૂછ્યું, 'મા ! કેમ નારાજ છે ? આખું ગામ મારા આગમનથી પ્રસન્ન છે અને તું કેમ પ્રસન્ન નથી ? મારી વિદ્યાથી તને આનંદ નથી થતો ?' માએ કહ્યું, ‘બેટા ! તું ચૌદ વિદ્યાનું જ્ઞાન ભણીને આવ્યો છે પણ તેં આત્મવિદ્યા પ્રાપ્ત નથી કરી, જો તું આત્મવિદ્યા અને દ્રષ્ટિવાદનું જ્ઞાન શીખીને આવે તો મને અવશ્ય આનંદ થાય. મા ! તે મને કોણ શીખવે ? હું જરૂર ત્યાં જઈ શીખી આવીશ.' માતાએ કહ્યું, 'તારા મામા તોસલિપુત્ર આચાર્ય તે તને શીખવી શકે.'
માતાનું વચન અંગીકાર કરી પ્રાતઃકાળે માતાની રજા લઈ આર્યરક્ષિત મામા પાસે ભણવા ચાલ્યો ગયો. આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની વિધિથી અજ્ઞાન હતો તેથી તે દ્રઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો અને શ્રાવકની વિધિ પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દ્રઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે, 'આ ચૌદ વિદ્યામાં પારગામી થયો છે અને તેને ગઈ કાલે રાજાએ હાથી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.'
પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે, 'હે ગુરુ ! હું દ્રષ્ટિવાદ ભણવા માટે આપ પૂજ્યના આશ્રયે આવ્યો છું. તે ભણાવીને આપ મારા પર કૃપા કરો.' તે સાંભળી ગુરુએ કહ્યું કે, 'જો દ્રષ્ટિવાદ શીખવું હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દ્રષ્ટિવાદનો અભ્યાસ કરાવી શકાય.'
તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે, 'મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા ગામના લોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્ર્યથી ભ્રષ્ટ કરી લઈ જશે.' તે સાંભળીને ગુરુ પોતાના ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા. તોસલિપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વ આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી, વધારે ભણવા માટે તે શ્રી વજ્રસ્વામી પાસે જવા નીકળ્યા.
માર્ગમાં કોઈ ગામમાં શ્રીભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમની પાસે જઈ આર્યરક્ષિતે વંદના કરી. સૂરિજી આર્યરક્ષિતને સર્વગુણયુકત જોઈને તેને હર્ષથી આલિંગન આપીને બોલ્યા કે 'હે વત્સ ! મારું જીવન અલ્પ રહ્યું છે. તેથી હું અનશન કરવા ઇચ્છું છું.' માટે તું મારી પાટે બેસ એવી હું યાચના કરું છું.' આર્યરક્ષિતે તેમનું વચન માન્ય રાખ્યું. પછી શ્રીભદ્રગુપ્તસૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું : 'હે વત્સ ! તું વજ્રસ્વામીની સાથે એક જ ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થળે રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરજે; કેમ કે જે સો ઘણા આયુષ્યવાળો જીવ વજ્રસ્વામીની સાથે એક રાત્રિ પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.' આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી, તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિતમુનિ વજ્રસ્વામીએ અલંકૃત કરેલી નગરીમાં આવ્યા. પ્રથમ રાત્રિ ગામની બહાર રહ્યા. તે રાત્રિએ પાછલા પહોરે વજ્રસ્વામીને સ્વપ્ન આવ્યું કે તેમના પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.'
પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજ્રસ્વામી પાસે આવ્યા. તેમને વિધિપૂર્વક વંદના કરીને તેમની પાસે બેઠા અને કહ્યું, “હું તોસલિપુત્રનો શિષ્ય આપની પાસે અભ્યાસ માટે આવ્યો છું. મારું નામ આર્યરક્ષિત છે. રસ્તામાં આવતાં શ્રીભદ્રગુપ્તસૂરિના કહેવાથી હું ભિન્ન ઉપાશ્રયમાં રહીશ.' આ સાંભળીને વજ્રસ્વામીએ ઉપયોગ મૂકી નિમિત્ત જાણીને બોલ્યા કે “જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિજીએ તને યુક્ત જ કહ્યું છે.' પછી વજ્રસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિતે ગ્રહણ કરવા માંડી. અનુક્રમે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલ આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે 'હવે દશમા પૂર્વને જલદી ભણ' એટલે આર્યરક્ષિત તે કઠિન પૂર્વને શીઘ્ર ભણવા લાગ્યા.
પેલી બાજુએ, દશપુરમાં આર્યરક્ષીતનાં માતાપિતા પુત્રના વિયોગથી પીડા પામતાં નાના પુત્ર ફાલ્ગુરક્ષિતને આર્યરક્ષિતને બોલાવવા મોકલ્યો. તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે 'હે ભાઈ! તમે આપણા કુટુંબને પ્રતિબોધ આપવા મારી સાથે ઘેર ચાલો અને મને પણ દીક્ષા આપો.' આર્યરક્ષિતે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતી કરી કે 'હે ગુરુદેવ! આપની આજ્ઞા હોય તો હું મારાં સંસારી માબાપને પ્રતિબોધ કરવા માટે મારે ગામ જાઉં.’ ગુરુ બોલ્યા કે 'હે વત્સ ! તું અભ્યાસ કર, ઘેર ન જા.' દશમા પૂર્વના અઘરા પાઠો ભણતાં આર્યરક્ષિત ઠીકઠીક થાક્યા હતા. તેમણે ગુરુજીને પૂછ્યું, ‘મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો અને હવે કેટલું બાકી છે?” ગુરુએ હસીને કહ્યું કે 'હે વત્સ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તેં ગ્રહણ કર્યું છે અને સમુદ્ર જેટલું બાકી પરંતુ તું ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છે, વળી બુદ્ધિશાળી છે, તેથી જલ્દી દશમું પૂર્વ પણ તું શીખી લઈશ.”
આ પ્રમાણે ગુરુએ વધુ અભ્યાસ કરવા માટે તેને ઉત્સાહિત કર્યો, તોપણ તે નાના ભાઈ સાથે ગુરુ પાસે જઈ વારંવાર કહેવા લાગ્યો કે 'આ મારો ભાઈ મને બોલાવવા આવ્યો છે માટે મને ત્યાં જવાની આજ્ઞા આપો.' ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ કરીને જાણ્યું કે 'આ આર્યરક્ષિત અહીંથી ગયા પછી શીઘ્ર પાછો નહીં આવે અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે; તેથી દશમું પૂર્વ મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.' આ ભાવિ ભાવ જાણીને શ્રી વજ્રસ્વામીએ આર્યરક્ષિતને જવાની રજા આપી.
રજા મળવાથી આર્યરક્ષિત પોતાના નાના ભાઈ સાથે દશપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો અને ત્યાંનો રાજા પણ સમકિત પામ્યો. એકદા શ્રી સૌધર્મેન્દ્ર ઇન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખેથી નિગોદનું સ્વરૂપ સાંભળીને ઇન્દ્રે પ્રભુને પૂછ્યું કે 'હે સ્વામી ! ભરત ક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું' સ્વરૂપ કહેનાર કોઈ છે?' પ્રભુએ કહ્યું કે, 'આર્યરક્ષિત છે.' આ સાંભળીને ઈન્દ્ર ભરત ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરક્ષિતસૂરિને વંદના કરીને તેમણે સૂક્ષ્મ નિગોદનું' સ્વરૂપ પૂછ્યું. સૂરિજીએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ જેવું છે તેવું કહી બતાવ્યું. તે સાંભળી સૂરિજીની પ્રશંસા કરીને તુષ્ટ થયેલો ઇન્દ્ર સ્વસ્થાને ગયો.
એ પછી આર્યરક્ષિત સ્વામીએ કેટલીક ધાર્મીક વિધિઓ ત્યાંના રહેવાસીઓને શીખવી અને પોતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગે ગયા. જ્ઞાની હોવા છતાં શ્રી આર્યરક્ષિત માતાનાં વચનોને માન આપી દ્રષ્ટિવાદનું જ્ઞાન મેળવવા ઘર છોડી ગુરુ પાસે ગયા. આ રીતે માતાનું મહત્ત્વ સ્વીકારી સારો દાખલો બેસાડયો.
શ્રી આર્યરક્ષિત સૂરિ સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર ક્લિક કરો. ⬇️
બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનના મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️
http://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati