Home > Know Jainism > 39 . શ્રી મહાદેવા પાર્શ્વનાથ
Jainonline.org
• 24-Jun-2025
39 . શ્રી મહાદેવા પાર્શ્વનાથ
13

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
દર્શન માત્રથી જ મહાનતાની પ્રતીતિ કરાવતા શ્રી મહાદેવા પાર્શ્વનાથનું ધાબાબંધ ભવ્ય જિનાલય પાટણ ખેતરવસીમાં આવેલું છે. શ્વેત પાષાણના આ પ્રતિમાજીના મસ્તકે ફણા નથી. આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યકાળમાં પાટણની જાહોજલાલી પરાકાષ્ટાએ પહોંચી હતી. પાટણના સર્વાંગી વિકાસમાં આ બે રાજવીઓનો ફાળો વિશેષ નોંધપાત્ર છે. પાટણની સમૃદ્ધિ અને જાહોજલાલીની યશોગાથા વિદેશી મુસાફરોના મુખે પણ ગવાઈ છે.
હીરા-મોતી-માણેકના બજારો, ગગનચુંબી મંદિરો અને ભવ્ય મહાલયો પાટણની સમૃદ્ધિના સાક્ષી હતાં. પણ સંવત ૧૩૬૦માં પાટણનું પતન થયું. પાટણ ઈસ્લામી સત્તાનું કેન્દ્ર બન્યું સં. ૧૩૭૧માં પાટણના સંઘવી સમરસિંહે પોતાની રાજકીય વગ દ્વારા શત્રુંજ્યનો સમુદ્ધાર કરાવ્યો અને ગુજરાતનાં સેંકડો દેવાલયોને મુસ્લિમોના ધર્મ ઝનૂનનો ભોગ બનતાં અટકાવ્યાં.
પાટણ નગરની પ્રત્યેક રજકણમાં પાટણના પ્રત્યેક ખંડેરમાં પાટણના પ્રત્યેક મંદિરમાં પાટણના પ્રત્યેક જ્ઞાનભંડારમાં અને પાટણની પ્રત્યેક પ્રતિમામાં જૈન સાહિત્ય કળા અને સંસ્કૃતિનો અમર ઈતિહાસ છે.
આ પાટણ નગરની ખેતરવસીમાં મહાદેવની શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથનું ભવ્ય ઘાબાબંધ જિનાલય આવેલું છે.
આ પ્રતિમાજી કે જિનાલયની પ્રાચીનતા અંગે કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. “મહાદેવ” નામની ભીતરમાં પડેલું રહસ્ય પણ પકડી શકાયું નથી. ભકતના દૈવને ચમકાવીને ભાગ્યવાન બનાવી યાવતુ 'ભગવાન' પદ સુધી પહોંચાડનારા આ દેવ "મહાદેવ" કહેવાય તેમાં શું આશ્ચર્ય?
આ જિનાલયના વૈશાખ સુદ ૧૦ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે.
પ્રાચીનતાના પુરાવા—
સંવત ૧૬૪૮માં શ્રી લલિતપ્રભસૂરિએ “પાટણ ચૈત્ય પરિપાટી"ની રચના કરી છે. આ પાર્શ્વપ્રભુને પૂનમનાં ચંદ્ર જેવા તેમણે વર્ણવ્યા છે. સંવત ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે ગૂંથેલી “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા'માં આ પાર્શ્વપ્રભુનું નામ પણ ગૂંથાયેલું છે.
સંવત ૧૬૮૯માં મુનિ ગુણવિજયના શિષ્યે રચેલા ‘૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં આ પાર્શ્વપ્રભુનો પણ નામ નિર્દેશ કરાયેલો છે.
સંવત ૧૭૨૧માં કવિ મેઘવિજય ઉપાધ્યાયે રચેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં આ પાર્શ્વનાથનો પણ નામોલ્લેખ છે.
સંવત ૧૭૨૯માં ૫ હર્ષવિજયે રચેલી “પાટણ ચૈત્ય પરિપાટી'માં તેમણે આ પાર્શ્વપ્રભુની પણ સ્પર્શના કરી છે.
સંવત ૧૮૮૧ના ફાગણવદ બીજના દિને ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનો ૧૦૮ નામના છંદ”માં તેમણે શ્રી મહાદેવા પાર્શ્વપ્રભુને સ્તવ્યા છે.
સંવત ૧૯૫માં પં હીરાલાલે કરેલી “પત્તન જિનાલય સ્તુતિ'માં તેમણે શ્રી મહાદેવા પાર્શ્વનાથની પણ સ્તુતિ કરી છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી મહાદેવા પાર્શ્વનાથનું મુખ્યતીર્થ પાટણ ખેતરવસીમાં આવેલું છે. તે ઉપરાંત શાન્તાક્રુઝ (પૂર્વ) મુંબઈના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી મહાદેવા પાર્શ્વનાથનાં પ્રતિમાજી છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
પાટણ નગરની ખેતરવસીમાં અનેક જિનાલયો આવેલાં છે. અહીં જ. શ્રી મહાદેવા પાર્શ્વનાથનું પણ જિનાલય છે.
પાટણ નગરમાં યાત્રિકોની સગવડ માટે અનેક ધર્મશાળાઓ વિદ્યમાન છે. તેમાં કોટાવાલાની ધર્મશાળા, અષ્ટાપદની ધર્મશાળા, તથા શ્રી મોહનલાલ ઉત્તમચંદની ધર્મશાળા મુખ્ય છે.
પાટણની જૈન ધર્મશાળામાં યાત્રિકોનાં ભોજનની સુંદર વ્યવસ્થા થાય છે.