Home > Know Jainism > 40 . શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથ
Jainonline.org
• 25-Jun-2025
40 . શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથ
15

પ્રથમ નજરે પ્રતિમાદર્શન-
પાટણના ઘીયાના પાડામાં શ્રી ઘીયા પાર્શ્વનાથજીનું ભવ્ય જિનાલય વિધમાન છે. પદ્માસને બિરાજતા શ્રી ઘીયા પાર્શ્વનાથના મસ્તકે ફણા નથી. શ્વેત વર્ણનાં આ પ્રતિમાજીની ઊ-ચાઇ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
ઘીયાના પાડામાં બિરાજતા આ પાર્શ્વપ્રભુ બબ્બે નામથી ઓળખાય છે. શ્રી કંબોઇયા પાર્શ્વનાથ અને ઘીયા પાર્શ્વનાથના નામથી આ પાર્શ્વપ્રભુ પ્રખ્યાત છે.
આ પાર્શ્વપ્રભુનું નામ એક વેપારીના અખૂટ શ્રદ્વાબળનું સૂચક છે. પાટણનો એક ઘીનો વેપારી શ્રી પાર્શ્વપ્રભુનો પરમ ભકત હતો. પરમ શ્રદ્ધાનો ધારક તે નિત્ય પાર્શ્વપ્રભુની અર્ચના કરતો. આ ભકિતના પ્રભાવે તેનું દૈવ ચમકી ઊઠયું. ઘીના વેપારમાં તે અત્યંત ધન કમાયો. ઘીના વેપારમાથી એકત્ર કરેલી સંપત્તિમાંથી તેણે એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું. આ જિનાલયમાં તેણે તેના આરાધ્યદેવ શ્રી પાર્શ્વપ્રભુને બિરાજમાન કર્યા. આ પાર્શ્વપ્રભુને લોકો શ્રી “ઘીયા પાર્શ્વનાથ” તરીકે ઓળખવા લાગ્યા.
પ્રાચીનતાના પુરાવા—
સંવત ૧૬૪૮માં શ્રી લલિતપ્રભસૂરિએ “પાટણ ચૈત્ય પરિપાટી’”ની રચના કરી છે. તેમાં તેમણે શ્રી કંબોઈયા પાર્શ્વનાથને જુહાર્યા છે.
સંવત ૧૬૫૫ના આસો સુદ-૧૦ના દિને કવિ- પ્રેમવિજયે રચેલી “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા'માં શ્રી ઘીયા પાર્શ્વનાથનો નામ નિર્દેશ થયેલો છે.
સંવત ૧૬૮૯માં ગુણવિજયના શિષ્યે રચેલા ‘૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં આ પાર્શ્વપ્રભુનો પણ નામોલ્લેખ જોવા મળે છે.
સંવત ૧૭૨૯માં પં હર્ષવિજયે કરેલી “પાટણ ચૈત્ય પરિપાટી'માં તેમણે ઘીયાના પાડામાં આવેલાં બન્ને જિનાલયોની સ્પર્શના કરી હોવાનું જણાવ્યું છે.
સંવત ૧૯૫૯માં પંડિત હીરાલાલે કરેલી “પત્તન જિનાલય સ્તુતિ'માં તેમણે આ પાર્શ્વપ્રભુની પણ સ્તવના કરી છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથનું મુખ્ય જિનાલય પાટણના ઘીયાના પાડામાં વિદ્યમાન છે. તે ઉપરાંત જીરાવલા તીર્થના શ્રી જીરાવલા પાર્શ્વનાથજી જિનાલયની ભમતીની ૪૭મી દેરીમાં પણ શ્રી કંબોઈ પાર્શ્વનાથ બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
પાટણના ઘીયાના પાડામાં બે જિનાલયો આવેલાં છે. એક જિનાલયમાં શ્રી શાંતિનાથજી અને બીજામાં શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક પદે બિરાજે છે.